પૂર્વ બેંક અધિકારીએ પાસવર્ડ અન્યોને શેયર કરી દીધા હતા
નિરવ મોદીની મદદ કરવા માટે પાસવર્ડ શેયર થયાઃ શેટ્ટીએ જરૂરી લેવલ-૫ પાસવર્ડને નિરવના કર્મચારીને પણ આપ્યા હતા : એલઓયુ જાતે જારી કરી લેતા હતા
નવીદિલ્હી, તા. ૧૯: પંજાબ નેશનલ બેંકની સાથે ૧૧૩૦૦ કરોડ રૂપિયાના મહાકૌભાંડમાં એક નવી માહિતી સપાટી ઉપર આવી છે. કૌભાંડમાં બ્રાંચના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીનું નામ પહેલાથી જ મુખ્યરીતે સપાટી ઉપર આવી રહ્યું છે. હવે જાણવા મળી રહ્યું છે કે, સ્વિફ્ટ પ્રોસેસના પાસવર્ડ ગોકુલનાથ શેટ્ટીની સાથે સાથે કેટલાક અધિકારીઓ અને નિરવ મોદીના લોકો પણ જાણતા હતા. સીબીઆઈ મુજબ નિરવ મોદી અને તેમના લોકો પોતે પણ લેટર ઓફ અન્ડરટેકિંગ જારી કરી લેતા હતા. શેટ્ટીએ આના માટે જરૂરી લેવલ-૫ પાસવર્ડને નિરવના કર્મચારીઓને પણ આપ્યા હતા. તેઓએ પોતે કેટલાક બેંક અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી હોવાની વાત કબૂલી લીધી છે. શનિવારના દિવસે આ તમામ માહિતી સીબીઆઈએ કોર્ટમાં રજૂ કરી હતી. આના માટે સીબીઆઈએ રવિવારે રાત્રે બ્રૈડી હાઉસ બ્રાંચમાં ઉંડી તપાસ હાથ ધરી હતી. સ્વિફ્ટ પ્રોસેસ એક મેસેજિંગ નેટવર્ક તરીકે છે. પૈસાની લેવડદેવડથી જોડાયેલીમાહિતીને મોકલવા અને મેળવવા માટે આને સૌથી સુરક્ષિત અને ઝડપી સિસ્ટમ તરીકે ગણવામાં આવે છે પરંતુ આ મામલામાં આ સિસ્ટમ પીએનબીની આંતરિક વ્યવસ્થા સાથે જોડાયેલી ન હતી. આનો મતલબ એ છે કે, કર્મચારીને પોતાની રીતે ઇન્ટરનલ સિસ્ટમમાં એન્ટ્રી કરવાની હોય છે. જો એવું કરતો નથી તો લેવડદેવડ અંગેની માહિતી મળી શકતી નથી.