શ્રધ્ધા ! હૈદરાબાદના ભક્તે શિરડીના સાંઇબાબા મંદિરમાં ૪ કિલો સોનું દાન કર્યું
સાંઇબાબા સંસ્થાનમાં ૨૫૦૦ કરોડ રૂપિયા : ૫૦૦ કિલોથી વધુ સોનું અને મોટી માત્રામાં ચાંદી જમા
શીરડી તા. ૧૯ : હૈદરાબાદમાં રહેતા એક ભક્તે મહારાષ્ટ્રના શિરડી શહેરના પ્રસિદ્ધ સાંઈબાબા મંદિરમાં ૨ કરોડ રૂપિયાની કિંમતની વિશાળ સોનાની વીંટી દાનમાં આપી છે. મંદિર ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ભાગ્યશ્રી બનાયતે જણાવ્યું હતું કે ભક્ત પાર્થસારથી રેડ્ડી ૨૦૧૬માં સાઈબાબાની મૂર્તિના સિંહાસન માટે સોનાની પટ્ટી દાન કરવા માગતા હતા, પરંતુ જરૂરી પ્રક્રિયા ત્યારે પૂર્ણ થઈ શકી ન હતી. તેમણે કહ્યું કે કોરોનાને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો.
ભાગ્યશ્રી બનાયતે જણાવ્યું કે પાર્થસારથી રેડ્ડીએ સાંઈબાબાના સિંહાસન માટે ચાર કિલોગ્રામ સોનાથી બનેલું બેન્ડ દાન કર્યું છે, જેની કિંમત બે કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે ૨૦૦૭માં હૈદરાબાદના અન્ય એક ભક્તે મંદિર ટ્રસ્ટને ૯૪ કિલો સોનાનું સિંહાસન દાનમાં આપ્યું હતું.
સાંઈ બાબાના ભક્તોમાં દક્ષિણ ભારતના લોકો મોટી સંખ્યામાં સામેલ છે. આ પહેલા સાંઈ ભક્ત કે.વી.રામાણીએ સાઈ બાબા સંસ્થાનને ૧૦૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. જો આર. રેડ્ડીએ સુવર્ણ સિંહાસનનું દાન કર્યું છે. ત્યારપછી પાર્થ રેડ્ડી આટલું મોટું દાન આપનારા ત્રીજા દક્ષિણ ભારતીય સાંઈ ભક્ત છે.
શિરડીના સાંઈ મંદિર એક આંતરરાષ્ટ્રીય તીર્થસ્થળ છે. વિશ્વભરમાંથી ભક્તો અહીં ઉદારતાથી દાન આપે છે. તિરુપતિ બાલાજી પછી સાઈ સંસ્થાન દેશના બીજા સૌથી ધનિક મંદિર તરીકે જાણીતું છે. સાંઈ બાબા સંસ્થાનમાં ૨૫૦૦ કરોડ રૂપિયા, ૫૦૦ કિલોથી વધુ સોનું અને મોટી માત્રામાં ચાંદી જમા છે. સાંઈ સંસ્થાને દાનપેટીમાંથી દાન સહિતની વસ્તુઓના રૂપમાં દાન મળતું રહે છે. લોકડાઉન કટોકટી પછી પણ મંદિરમાં દાન આપવાની પ્રક્રિયા ચાલુ જ હતી.