બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલા ચાલુઃ તોફાનીઓએ ૨૦ ઘરો સળગાવી દીધા
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુઓ પર શરૂ થયેલા હુમલા હજી પણ ચાલુ જ છે
નવી દિલ્હી, તા.૧૮: બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાળ અને મંદિરો પર હુમલા બાદ હવે રવિવારે રંગપુર જિલ્લામાં હિન્દુઓના ઘરો સળગાવી દેવામાં આવ્યા છે. બાંગ્લાદેશના અખબારના કહેવા પ્રમાણે કેટલાક કટ્ટરવાદીઓએ હિન્દુઓના ૨૦ ઘરો સળગાવી દીધા છે તો સ્થાનિક લોકોનુ કહેવુ છે કે, ૬૫ ઘરોને આગ લગાવવામાં આવી છે.
પોલીસના કહેવા પ્રમાણે આ મામલામાં પણ એક હિન્દુ વ્યકિત પર ફેસબૂક પર આપત્તિજનક કોમેન્ટ કરવાનો આરોપ લાગ્યો હતો. એ પછી આ વ્યકિતને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી પણ કટ્ટરવાદીઓએ આસપાસના ઘરોને આગ ચાંપી દીધી હતી. આરોપીઓ જમાત એ ઈસ્લામી સંગઠન અને તેના વિદ્યાર્થી સંગઠન ઈસ્લામી છાત્ર શિબિર સાથે જોડાયેલા છે.
સોશિયલ મીડિયા પર તેને લગતા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં ટોળાને દ્યરો સળગાવતા જોઈ શકાય છે. જોકે આ વિડિયો આ જ ઘટનાના હોવાનુ સાબિત થયુ નથી. બીજી તરફ દુર્ગા પૂજા પંડાળો પર હુમલાની ઘટનાઓમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂજા સ્થળો પર હુમલામાં ચાર લોકોના ફાયરિંગમાં મોત થયા છે જયારે નોઆખલીમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલામાં બે લોકોના મોત થયા છે.