મુખ્ય સમાચાર
News of Friday, 18th September 2020

બિલમાં શું -શું જોગવાઇઓ છે ?

કૃષિ બિલમાં એવું તો શું છે કે તેના વિરોધમાં હરસિમરતે રાજીનામું આપ્યું ?

નવી દિલ્હી,તા.૧૮: : કેન્દ્ર સરકારના કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ત્રણ બિલના વિરોધમાં અકાલી દળે એનડીએ સાથે સંબંધ તોડવાનો સંકેત આપ્યો છે. દાયકાથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના સૌથી વિશ્વાસી સહયોગી રહેલા અકાલી દળનો બળવો ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે. પંજાબના મોટા નેતા અને અકાલી દળના ચીફ સુખબીર સિંહ બાદલે ગુરૂવારે લોકસભામાં જાહેરાત કરી કે તેમની પાર્ટીમાંથી એનડીએની કેન્દ્ર સરકારમાં મંત્રી હરસિમરન કૌર રાજીનામુ આપશે અને તેના થોડા સમય બાદ જ હરસિમરન કૌર બાદલે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. આ પહેલા બુધવારે અકાલી દળે જાહેરાત કરી હતી કે તે ખેડૂતોના હિત સાથે સમજુતી નહીં કરે અને તેમના નેતા કુર્બાની આપવા માટે તૈયાર છે.

લોકસભામાં ગુરૂવારે જયારે બિલ રજૂ કરવામાં આવ્યું તો શિરોમણી અકાલી દળ સાંસદ સુખબીર સિંહ બાદલે વિરોધ કર્યો. પછી કેન્દ્રીય ખાદ્ય તથા પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું. પરંતુ અકાલી દળ સરકારને સમર્થન આપતું રહેશે. આવો જાણીએ શું છે તે અધ્યાદેશ જેના વિરોધમાં મોદી કેબિનેટમાંથી હરસિમરન કૌરે રાજીનામુ આપી દીધું.

અધ્યાદેશોના વિરોધમાં પોતાના રાજીનામાની જાણકારી હરસિમરત કૌર બાદલે ટ્વીટ કરીને આપી હતી. તેમણે કહ્યું, મેં કિસાન વિરોધી અધ્યાદેશો અને કાયદાના વિરોધમાં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધું છે. કિસાનો સાથે તેમની પુત્રી અને બહેન તરીકે ઉભા રહેવાનો ગર્વ છે.

હકીકતમાં આ સંપૂર્ણ વિવાદ કેન્દ્રના તે ત્રણ કૃષિ બિલ સાથે જોડાયેલો છે, જે ખેડૂતોના હિતો સાથે જોડાયેલા છે. વિરોધનું કારણ બનેલા આ બિલ છે- કૃષિ ઉત્પાદન વ્યાપાર અને વાણિજય (સંવર્ધન અને સુવિધા) બિલ, મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવાઓ પર કિસાન (સંરક્ષણ તથા સશકિતકરણ બિલ) અને જરૂરી વસ્તુ સંશોધન બિલ. આ ત્રણેય બિલોનો વિરોધ કરી રહેલા કિસાનોએ હરિયાણા, પંજાબ અને ઉત્ત્।ર પ્રદેશમાં રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નવા બિલ અનુસાર, હવે વ્યાપારી બજારની બહાર પણ ખેડૂતોનો પાક ખરીદી શકશે. પહેલા ખેડૂતોના પાકની ખરીદી માત્ર બજારમાં થતી હતી. તો કેન્દ્રએ હવે દાળ, બટેટા, ડુંગળી, અનાજ, ઇડેબલ ઓયલ વગેરેને જરૂરીયાતની વસ્તુના નિયમથી બહાર કરીને તેની સ્ટોક મર્યાદા સમાપ્ત કરી દીધી છે. આ બંન્નેસિવાય કેન્દ્ર સરકારે કોન્ટ્રાકટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવાની નીતિ પર પણ કામ શરૂ કર્યું છે, જેનાથી કિસાન નારાજ છે. વિરોધ કરનાર સંગઠનોમાં કોંગ્રેસથી લઈને ભારતીય કિસાન યૂનિયન જેવા મોટા સંગઠનો પણ સામેલ છે, જેને હવે અકાલી દળનું સમર્થન મળી ગયું છે.

લોકસભામાં બોલતા ગુરૂવારે સુખબીર સિંહ બાદલે સ્પષ્ટ કહ્યુ કે, શિરોમણી અકાલી દળ આ બિલનો આક્રમક વિરોધ કરે છે. દરેક બિલ જે દેશ માટે છે, દેશના કેટલાક ભાગ તેને પસંદ કરે છે, કેટલાક ભાગમાં તેનું સ્વાગત થતું નથી. કિસાનો માટે લાવવામાં આવેલા ત્રણ બિલથી પંજાબના ૨૦ લાખ અમારા કિસાનો પ્રભાવિત થવા જઈ રહ્યાં છે. ૩૦ હજાર આડત, ૩૦ લાખ બજાર મજૂર, ૨૦ લાખ ખેત મજૂર તેનાથી પ્રભાવિત થવા જઈ રહ્યાં છે. અકાલી દળ સિવાય પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહની સરકારે પણ મોદી સરકારની આ બિલને લઈને ટીકા કરી હતી.

(11:42 am IST)