જીએસટી રિટર્નમાં રકમ જમા કરાવી છતાં બાકી કાઢી વસૂલાતને લીધે વિવાદ
ડીઆરસી-૦૩થી GST ભરનારા વેપારીઓને ફરીવાર તાકીદ કરાઇ
મુંબઇ તા. ૧૮ : જીએસટી પોર્ટલની ખામીને કારણે નાના વેપારીઓએ એક વખત જીએસટી ભર્યો હોવા છતાં બીજી વખત ભરવા માટે તાકીદ કરી છે. તેના કારણે વેપારીઓએ પરેશાન થવાની નોબત આવી રહી છે.
૧.૫૦ કરોડથી ઓવું ટર્નઓવર ધરાવનાર વેપારીઓને દર ત્રણ મહિને રિટર્ન ભરવાની છૂટ છે. તેમાં વેપારીઓએ રિટર્ન સીએમપી-૦૮ દ્વારા ભરવાનું થતું હોય છે. કેટલીક વખત વેપારીઓને તે ભરવામાં સમસ્યા ઉભી થતાં ડીઆરસી ૦૩ દ્વારા જીએસટીની રકમ જમા કરાવી હોવા છતાં તે રકમ હજુ જમા જ થઇ નહીં હોવાનું જણાવીને વેપારીઓને ફરીથી તે રકમ ભરવા માટે તાકીદ કરી છે. જેથી વેપારીઓની હાલત કફોડી બની છે, કારણ કે એક વખત જીએસટી ભરપાઇ કર્યો હોવા છતાં પોર્ટલની ખામીને કારણે તે રકમ ફરીથી ભરવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તે રકમ જમા નહીં કરાવે ત્યાં સુધી વાર્ષિક રિટર્ન ભરવામાં પણ સમસ્યા સર્જાઇ રહી છે. જેથી નાના વેપારીઓનો તો જીએસટી પોર્ટલની ખામીને લીધે આર્થિક ભારણ આવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે કંપોઝિશન સ્કીમનો લાભ ૧.૫૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીઓ જ લેતા હોય છે. તેના કારણે જીએસટી પોર્ટલની ખામીને કારણે નાના વેપારીઓને મોટી તકલીફ ઉભી થઇ છે.