રાફેલ ડીલઃ અનિલ અંબાણીએ AAP નેતા સંજયસિંહ પર માંડયો ૫૦૦૦ કરોડનો માનહાનિનો દાવો
નવી દિલ્હી તા. ૧૬ : રાફેલ ડીલ પર પક્ષ-વિપક્ષના આરોપ-પ્રત્યારોપ વચ્ચે દેશના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પર ૫૦૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. અનિલ અંબાણીએ રાફેલ ડીલને લઈને તેની બદમાની કરવા પર સંજય સિંહને કાનૂની નોટિસ મોકલી છે.
અનિલ અંબાણીએ કહ્યું કે સંજય સિંહના આરોપોથી તેની બદનામી થઈ છે. આપ નેતા અને રાજયસભાના સાંસદ સંજય સિંહએ ૧૩ ફેબ્રુઆરીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારત અને ફ્રાંસમાં ૩૬ રાફેલ વિમાનોને લઈને ૫૬૦૦૦ કરોડની ડીલ થઈ છે. તેમાં રિલાયન્સ ડિફેંસ લિમિટેડ ફ્રાંસની એવિએશન કંપની ડસોલ્ટ એવિએશનને ૨૨૦૦૦ કરોડનો કોન્ટ્રાકટ મળવાનો આરોપ લગાવ્યો છે.
માનહાનિની નોટિસ પર સંજય સિંહે પણ વળતો જવાબ આપતા કહ્યું કે કોઈ અંબાણી કે અડાણી આમ આદમીની અવાજ નહીં દબાવી શકે. તેમણે કહ્યું માનહાનિની નોટિસ રાફેલ ડીલમાં થયેલા સવાલોના જવાબ નથી.
સંજય સિંહે ટ્વિટ કરી રહ્યું કે ઉદ્યોગપતિઓની દબંગાઈ ચરમ પર છે. પહેલા કૌભાંડ કરશે, પછી તેના વિરુદ્ઘ અવાજ ઉઠાવનારાઓ પર માનહાનિનો કેસ કરશે, તેમણે કહ્યું કે હું મારી વાત પર કાયમ છું.