બજેટ પૂર્વે મોબાઈલ ફોન ઉદ્યોગની માંગણીઓ
નવી દિલ્હી,તા.૧૮: વડાપ્રધાન મોદીની સરકારના નાણાં પ્રધાન નિર્મલા સીતારામન કેન્દ્રીય બજેટ-૨૦૨૨ને આખરી ઓપ આપવાના કાર્યમાં વ્યસ્ત છે ત્યારે મોબાઈલ ફોન ઉદ્યોગે કેટલીક અપેક્ષાઓ વ્યકત કરી છે. ઉદ્યોગના મહારથીઓ ઈચ્છે છે કે સરકાર મોબાઈલ ફોન બનાવવા માટે વપરાતા છૂટા ભાગો પરની આયાત જકાત દ્યટાડવામાં આવે, કારણ કે છૂટા ભાગો પર વેરા વધારવાથી ભારતમાં PLI (પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ) સ્કીમ હેઠળ નિર્મિત ઉત્પાદનો માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી રહેવાનું કઠિન બની જશે.
ઉદ્યોગની સંચાલક ઈન્ડિયા સેલ્યૂલર એન્ડ ઈલેકટ્રોનિકસ એસોસિએશન સંસ્થાની બીજી માગણી એ છે કે જીએસટી ૧૮ ટકા પરથી ઘટાડીને ફરી ૧૨ ટકા કરવામાં આવે, કારણ કે જીએસટીમાં છ ટકાનો વધારો થવાથી સ્થાનિક બજાર તથા ઉત્પાદકોનો વિકાસ રૃંધાઈ જશે.