કોરોના વાયરસને કઇ રીતે રોકવો ? શું કરવું ?
CMની સૂચનાથી જયંતિ રવી ફરી રાજકોટમાં : બેઠકનો દોર
સાંસદ અભયભાઇ ભારદ્વાજની સારવારઃ નર્સીંગ સ્ટાફ પર હુમલોઃ મૃત્યુદરમાં વધારોઃ તમામ ઘટનાની તપાસ-સમીક્ષા માટે સીવીલ હોસ્પિટલમાં તાકીદની બેઠકઃ પ્રભારી રાહુલ ગુપ્તા અને ખાસ ફરજ પરનાં અધિકારી મિલિન્દ તોરવણેને દોડાવાયા
અગ્ર સચિવ શ્રી જયંતિ રવીએ રાજકોટ ખાતે આવી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી હતી. તે વખતની તસ્વીરમાં પ્રભારી ડો. રાહુલ ગુપ્તા પાસેથી વિગતો મેળવી રહેલા દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૭ : શહેરમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે સ્ફોટક થતી જાય છે ત્યારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જેન્તી રવિ વધુ એક વખત રાજકોટ આવી રહ્યાનું ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.
આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં કોરોના બેકાબુ બન્યો છે. રોજના ૧૦૦ આસપાસ કેસ આવી રહ્યા છે. એટલું જ નહી દરરોજ ૩૦થી વધુ લોકોના મૃત્યુ થાય છે. આ બાબત અત્યંત ચિંતાજનક અને ભયાવહ સ્થિતિ જેવી છે.
રાજ્યસભાના સાંસદ અને ભાજપના અગ્રીમ હરોળના નેતા શ્રી અભય ભારદ્વાજની પણ સિવિલ હોસ્પિટલમાં ઘનિષ્ઠ સારવાર ચાલી રહી છે. મેયર બીનાબેન આચાર્ય સહિતના કોરોના થયો છે. કોર્પોરેટરો - ધારાસભ્યો પણ સંક્રમિત થઇ રહ્યા છે. એટલું જ નહી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુદર વધી રહ્યો છે. આમ સ્થિતિ સ્ફોટક બની રહી છે. સિવિલ હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફ ઉપર હુમલો વગેરે જેવી ઘટનાઓ પણ બની રહી છે.
આમ, આ તમામ ઘટનાઓની સમીક્ષા કરી અને રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં ઘનિષ્ઠ સારવારની વ્યવસ્થા, કોરોના ટેસ્ટ વધારવા, સંક્રમણ અટકાવવા સહિતની બાબતોના તમામ પગલા લેવા બાબતે સમીક્ષા બેઠક યોજી હતી.
આ લખાય છે ત્યારે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મેડીકલ કોલેજમાં રાજ્યના આરોગ્યના અગ્રસચિવ જયંતિ રવિએ રાજકોટના પ્રભારી અધિકારી રાહુલ ગુપ્તા તેમજ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ હોસ્પિટલ માટે ખાસ મુકાયેલા ડે.કલેકટરો, ડીન અને નિષ્ણાંત ડોકટરો સાથે તાકિદની સમીક્ષા બેઠક યોજી કોરોના સંક્રમણ રોકવા અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.