મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

આયુષ્યના અમૃત મહોત્સવ તરફ ગતિ કરી રહેલ નરેન્દ્રભાઇ વિચક્ષણ રાજપુરૂષ

ગુજરાતને મૂડી રોકાણ માટેનું વૈશ્વિક ગંતવ્ય કેન્દ્ર બનાવવાને લગતાં તેમનાં પગલાંઓ ઉડીને આંખે વગળે તેવા : તેમનામાં રાજદ્વારી વિદેશી સંબંધો માટેની જબરી કોઠાસૂઝ છે

અમદાવાદ તા. ૧૭ : વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે આયુષ્યના અમૃત મહોત્સવ તરફ ગતિ કરી રહ્યા છે તે આપણા સૌ માટે એક શુભ ઘડી છે. તેઓ ૨૦૦૧ ના કચ્છના વિનાશક ધરતીકંપ બાદ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા અને વર્ષ ૨૦૧૪ ના વડા પ્રધાન બન્યા તેના ઘણા સમય પહેલાંથી હું તેમના પરિચયમાં હતો તે મારૃં સદભાગ્ય છે અને ગૌરવ પણ.

હું અમદાવાદમાં તેમના દ્વારા સંપોષિત અને તેમને પ્રિય એવી વિદ્યા સંસ્થા સંસ્કારધામમાં અવારનવાર જતો અને ઘણી વાતો કરતો. તેઓ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા ત્યારે દિલ્હીમાં પણ હું તેમને ઘણી વાર મળતો.

વર્ષ ૧૯૯૨ના પ્રજાસત્તાક દિવસે શ્રીનગરના લાલ ચોકમાં તત્કાલીન બીજેપી અધ્યક્ષ શ્રી મુરલી મનોહર જોષી સાથે તિરંગો ફરકાવવામાં શ્રી નરેન્દ્ર મોદી પણ હતા. આતંકવાદીઓની ધાક-ધમકી અને દહેશતના માહોલમાં તેમની આ હિમ્મતપૂર્ણ દેશભકિતસભર ભાવનાનાં દર્શન ત્યારે થયાં.

જયારે તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેની કમાન સંભાળી ત્યારે વિનાશકારી ધરતીકંપમાંથી કચ્છને બેઠું કરવાની તેમની પ્રાથમિકતા હતી. કચ્છનું પુનઃનિર્માણ કરી તેને સમૃદ્ઘ અને વિકસિત ક્ષેત્ર તરીકે તેમણે પુનઃસ્થાપિત કર્યું. રણોત્સવ, રાજયના કચ્છ સહિતના તરસ્યા વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચતું કરવું, ખેડૂતો માટે અબાધિત વીજ પૂરવઠો, પ્રવાસન, કન્યા શાળા પ્રવેશોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ અને ગુજરાતને મૂડી રોકાણ માટેનું વૈશ્વિક ગંતવ્ય કેન્દ્ર બનાવવાને લગતાં તેમનાં પગલાંઓને લીધે ગુજરાત રાતોરાત ખૂબ પ્રસિદ્ઘ બની ગયું.

મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સામર્થ્ય અને સંભાવનાઓનું વિદેશમાં એવું ખૂબીપૂર્વક માર્કેટિંગ કર્યું કે વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગતો થયો અને તેમનું નામ પણ એક વૈશ્વિક નેતા કરીકે ગાજતું થયું. વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શિખર પરિષદોના રોડ શો માટે મારે તેમની સાથે રશિયા, અસ્ત્રાખાન, ચીન, જાપાન, સ્વિટ્ઝરર્લેન્ડ, દક્ષિણ કોરિયા, યુગાન્ડા, કેન્ચા વિગેરે દેશોમાં પ્રવાસે જવાનું થયું હતું. ઘણા દેશોમાં તેમનું એવું સન્માન, સ્વાગત અને અભિવાદન થતું જોયું કે જે સામાન્ય રીતે કોઇ દેશના વડાનું થતું હોય! હું તેનો સાક્ષી છું. તેમનામાં ત્યારે પણ રાજદ્વારી વિદેશી સંબંધો માટેની જબરી કોઠાસૂઝ જોવા મળતી.

એક વિચક્ષણ રાજપુરુષ તરીકે પાકિસ્તાન અને ચીન દ્વારા આપણી સામે ઊભા કરાયેલા પડકારો સામે ભારત તરફે જે વૈશ્વિક મત તેઓએ કેળવ્યો છે તે ભારતીય વિદેશનીતિના ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે.

જુલાઇ ૨૦૦૨ ના રિલાયન્સના અમારા સ્થાપક અધ્યક્ષ ધીરૂભાઇ અંબાણીના અવસાનના સમાચાર સમગ્ર કોર્પોરેટ જગત માટે આઘાતજનક હતા. શ્રી નરેન્દ્રભાઇએ મુખ્યમંત્રી તરીકે સૌ ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ, ગણમાન્ય મહાનુભાવો વિગેરેની ઉપસ્થિતિમાં એક વિશેષ પ્રાર્થના સભા યોજી અને ગુજરાતની ધરતીના પુત્ર શ્રી ધીરૂભાઇ અંબાણીને શોકાંજલિ અર્પિત કરી. તે ક્ષણથી પણ શ્રી નરેન્દ્રભાઇ મોદી માટેનું મારૃં માન, મારી પ્રશંસા અને મારી શ્રદ્ઘામાં અનેક ગણો વધારો થઇ ગયો.

જયારે વર્ષ ૨૦૦૮ મેં ઝારખંડથી રાજય સભાની ચૂંડણી લડવાનું નક્કી કર્યું ત્યારે હું તેમના આશીર્વાદ લેવા ગયો હતો. તેમણે મને ખૂબ સારૃં માર્ગદર્શન આપ્યું.

એક મુખ્ય મંત્રી તરીકે તેમના પર ધુંઆધાર જે રીતે આરોપો-પ્રત્યારોપો અને હુમલાઓનો મારો ચલાવવામાં આવ્યો હતો તે સંજોગોમાં કોઇપણ કાચો-પોચો માણસ તો ટકી જ ન શકે અને હારીને હથિયાર હેઠાં મૂકી દે. કેટલી ન્યાયિક તપાસ!  કેટલા કેસો! સિટની તપાસનો સામનો! પરંતુ તેમણે આ તમામ પ્રતિકૂળતાઓ સામે જબરી ઝીંક ઝીલી. રાજકીય રીતે તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો થયા. પણ લગીરેય વિચલિત થયા વિના પોતાનો દ્રઢ આત્મ વિશ્વાસ જાળવી રાખ્યો.

વડા પ્રધાન તરીકે તેમની મેક ઇન ઇન્ડિયા અને ડિજીટલ ઇન્ડિયા વિચારધારાઓએ રિલાયન્સના અમારા અધ્યક્ષ શ્રી મૂકેશભાઇ અંબાણીને ખૂબ પ્રભાવિત કર્યા હતા. અમારી જામનગર સંકુલ પરિયોજનામાં મેક ઇન ઇન્ડિયા પ્રતિબિબિંત થાય છે. જિઓ આખા દેશના લોકોને એક મેકથી જોડતું એક મોટું પ્લેટફોર્મ બન્યું છે. તે રીતે વડા પ્રધાનશ્રીનું ડિજીટલ ઇન્ડિયા સ્વપ્ન ચરિતાર્થ થઇ રહ્યું છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે શ્રી નરેન્દ્ર મોદીનું મોટેરાને દુનિયાનું મોટામાં મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું સ્વપ્ન હતું. વડા પ્રધાન બન્યા બાદ તેમણે શ્રી અમિતભાઇ શાહ અને મને તેમના આ સ્વપ્નને વાસ્તવિક સ્વરૂપ આપવાનું ભગીરથ કાર્ય સોંપ્યું. આ વર્ષના પ્રારંભે જયારે તેઓ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઇને એક લાખથી વધુ પ્રેક્ષકો વચ્ચે વિશાળ સ્ટેડિયમમાં લઇ આવ્યા ત્યારે શ્રી નરેન્દ્રભાઇના ચહેરા પરની ચમક અને સંતોષ ઝળકતો મેં જોયો હતો.

હું જયારે ૨૦૧૪ માં બીજી વાર સાંસદ બન્યો ત્યારે તેમની હાજરીમાં સોગંદ લેવાનું મને મન હતું. બન્યું પણ તેમ જ! રાજય સભાની આગલી હરોળમાં વડા પ્રધાન બેઠા હતા તે પશ્વાદ્ ભૂમિ વચ્ચે હું સોગંદ લેતો હોંઉ તે ચિત્ર મારા જીવનની અવિસ્મરણીય ક્ષણ છે.

- શ્રી પરિમલ નથવાણી

સીનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીનિયર

ગ્રુપ પ્રેસિડેન્ટ તથા રાજય સભા સાંસદ

(11:55 am IST)