મુખ્ય સમાચાર
News of Tuesday, 17th August 2021

નોટબંધી, જીએસટી અને કૃષિ કાયદા અર્થતંત્રને નબળુ પાડવા બનાવાયા : રાહુલ ગાંધીના પ્રહાર

કૃષિ કાયદા ભારતીય કૃષિ ક્ષેત્રની કરોડરજ્જુને તોડશે. આપણું કૃષિ ક્ષેત્ર ખેડૂતોને બદલે 2-3 મોટા ઉદ્યોગપતિઓના હાથમાં જશે

નવી દિલ્હી :  કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે પહેલા નોટબંધી, પછી જીએસટી અને હવે કૃષિ કાયદા લાવીને ભારતીય અર્થતંત્રની કમર તોડી નાખી છે. તેમણે કહ્યું કે આ ત્રણ કાયદાઓ અર્થતંત્રના અનૌપચારિક ક્ષેત્રને નબળા બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે અને સરકારે તે આયોજન પુર્વક કર્યુ છે. જેની અસર એ થઈ છે કે દેશ યુવાનોને રોજગારી આપવા સક્ષમ નથી. કોંગ્રેસના નેતાએ કેરળના તિરુવંબડીમાં એક કાર્યક્રમમાં આ વાત કરી હતી.

નવા કૃષિ કાયદાઓ અને દેશભરમાં ખેડૂતોના વિરોધ અંગે રાહુલે કહ્યું કે,ખેતી આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાનો ભાગ છે. તેમાં નવી વસ્તુઓ આવવી જોઈએ પરંતુ તે કરવાની એક રીત છે. ખેડૂતોની પેદાશો ખરીદવાની એક વ્યવસ્થા છે અને તે સિસ્ટમમાં કેટલીક ખામીઓ છે, જેને સુધારવી જોઈએ પરંતુ સરકાર તેનો નાશ કરી રહી છે. સરકાર મંડીઓનો નાશ કરી રહી છે. જેની સીધી અસર માત્ર ખેડૂતો પર જ નહીં પરંતુ દેશના મધ્યમ વર્ગ પર અને દેશની સામાજિક અને આર્થિક સ્થિરતા પર પડશે. કૃષિ કાયદાઓ સામે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. હું તેના પ્રદર્શનને સંપૂર્ણપણે સમજું છું. આ કૃષિ કાયદા ભારતીય કૃષિ ક્ષેત્રની કરોડરજ્જુને તોડશે. આપણું કૃષિ ક્ષેત્ર ખેડૂતોને બદલે 2-3 મોટા ઉદ્યોગપતિઓના હાથમાં જશે.

કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી સોમવારે રાજ્યના ત્રણ દિવસના પ્રવાસ પર તેમના સંસદીય મતવિસ્તાર પહોંચ્યા છે. અહીંથી તે ઘણી યોજનાઓ શરૂ કરી રહ્યા છે. સોમવારે રાહુલે વાયનાડની મનંતવાડીમાં ગાંધી પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. રાહુલ ગાંધીએ અહીં કહ્યું કે મહાત્મા ગાંધીની સૌથી શક્તિશાળી બાબત એ હતી કે તેમણે જે પણ કહ્યું તે તેમણે અમલમાં મૂક્યું.

(8:27 pm IST)