મુખ્ય સમાચાર
News of Tuesday, 17th August 2021

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભાજપ નેતાની આતંક્વદીઓએ કરી હત્યા

જાવેદ અહેમદ ડાર કુલગામના હોમશાલીબાગ વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રભારી હતા

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની આતંકવાદીઓએ હત્યા કરી છે. ભાજપના નેતાનું નામ જાવેદ અહેમદ ડાર છે. જાવેદ કુલગામના હોમશાલીબાગ વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રભારી હતા. છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓ સતત ભાજપના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે.

નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આતંકવાદી ઘટનાની નિંદા કરી છે અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું કે, કુલગામથી ખરાબ સમાચાર આવ્યા છે. જાવેદ અહમદની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હું આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું અને જાવેદના પરિવાર અને સહયોગીઓ પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું. અલ્લાહ તેમને જન્નતમાં સ્થાન આપે.

 

કાશ્મીર ભાજપના મીડિયા પ્રભારી મંઝૂર અહેમદે પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ભાજપ કુલગામમાં હોમશાલીબાગના મતવિસ્તાર પ્રમુખ જાવેદ અહેમદ ડારની આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ દુ:ખદ છે.

 

આતંકવાદીઓ ફરી એક વખત જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક પછી એક ભાજપના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ભાજપના નેતા ગુલામ રસૂલ ડાર અને તેની પત્નીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુલામ ડાર કુલગામથી કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ હતા અને તેઓ સરપંચ પણ હતા.

(7:53 pm IST)