દેશમાં હાલ યુરીયા, ડીએપી કે બીજા કોઈ ખાતરની અછત નથી: કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા
2025 માં દેશ ખાતર મામલે આત્મનિર્ભર બની જશે: ઓર્ગેનિક ખેતીના પ્રોત્સાહનને કારણે 20 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ ઘટશે
નવી દિલ્હી : હાલમાં ખાતરની તંગી હોવાનો ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઈન્કાર કર્યો છે. મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે દેશમાં હાલમાં ખાતરની કોઈ અછત નથી અને 2025 માં દેશ ખાતર મામલે આત્મનિર્ભર બની જશે અને તે વખતે યુરિયા મામલે દેશ આત્મનિર્ભર બની જશે. તેમણે કહ્યું કે દેશમાં વર્ષ 3.25-3.50 લાખ મેટ્રિક ટન યુરીયા ખાતરનો ઉપયોગ થાય છે અને ખરીફ સિઝનમાં 1.80 લાખ મેટ્રિક ટન યુરીયાનો ઉપયોગ થવાની આશા છે
ખરીફ સિઝન માટે 1.50 લાખ મેટ્રિક ટન યુરિયાનું ઉત્પાદન થશે. બાકીના 30 લાખ મેટ્રિક ટન યુરિયાની વ્યવસ્થા વિવિધ દેશોમાંથી થઈ ચૂકી છે. હું ખેડૂતોને કહેવા માંગુ છું કે ખાતરોની અભૂતપૂર્વ વૈશ્વિક અછત હોવા છતાં ભારતમાં યુરિયા, ડીએપી અને અન્ય ખાતરોની કોઈ અછત નથી," કેન્દ્રીય મંત્રીએ કહ્યું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્ર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેનો સીધો ફાયદો દેશમાં 20 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ ઘટશે. રાસાયણિક અને ખાતર મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે માંડવિયાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ખાતર ક્ષેત્રમાં સહકાર વધારવા માટે 13-15 મે દરમિયાન જોર્ડનની મુલાકાત લીધી હતી