મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

સુકેશ ચંદ્રશેખરની પત્નીને મળવા જેલમાં ભૂખ હડતાળ

૨૦૦ કરોડ રુપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં સુકેશ જેલમાં છેઃસુકેશની માગ છે કે, તિહારની જેલ નંબર ૬માં કેદ પોતાની પત્ની સાથે નિયમો વિરુદ્ધ મુલાકાત કરવા દેવાય

  નવી દિલ્હી, તા.૧૭:૨૦૦ કરોડ રુપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં જેલની સજા કાપી રહેલા આરોપી સુકેશ ચંદ્રશેખરને કારણે જેલ તંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે. સુકેશ ચંદ્રશેખરે ૨૩મી એપ્રિલથી ભૂખ હડતાલ શરુ કરી છે. પાછલા ૧૯ દિવસથી તે ભૂખ્યો છે. પાછલા થોડાક દિવસોથી તેને પ્રવાહી આપવામાં આવી રહ્યું છે, પરંતુ ભોજન તે હજી પણ નથી લઈ રહ્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર, તિહાર જેલમાં જ કેદ તેની પત્ની લીના મારિયા પૉલને કારણે તે આમ કરી રહ્યો છે. પત્નીને મળવા માટે સુકેશ ચંદ્રશેખર ભૂખ હડતાલ પર ઉતર્યો છે. તિહાર જેલના ડીજી સંદીપ ગોયલ સાથે વાત કરવામાં આવી તો તેમણે પણ જણાવ્યું કે સુકેશે પાછલા થોડાક દિવસોથી ખોરાક નથી લીધો. તેની માંગ છે કે, તિહારની જેલ નંબર ૬માં કેદ પોતાની પત્ની સાથે નિયમો વિરુદ્ધ મુલાકાત કરવા માંગે છે. પરંતુ જેલ અધિકારી તેને મંજૂરી નથી આપી રહ્યા.

ઉલ્લેખનીય છે કે જેલ નિયમો અનુસાર મહિનામાં બે વાર પત્ની સાથે મુલાકાત શક્ય છે. પરંતુ તે મહિનામાંથી બેથી વધારે વાર પત્ની સાથે મળવા માંગે છે, જે શક્ય નથી. અધિકારીએ જણાવ્યું કે તિહાર જેલમાં તેના જીવને જોખમ હોવાની જે વાત છે તે પાયાવિહોણી છે. તેની સુરક્ષાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, તિહાર જેલ નંબર ૧માં કેદ સુકેશે ૨૩ એપ્રિલથી ભૂખ હડતાલ શરુ કરી છે. શરુઆતમાં ૨ મે સુધી હડતાલ કરવામાં આવી, ત્યારપછી ચાર મેથી ફરીથી તેણે હંગર સ્ટ્રાઈક શરુ કરી. વચ્ચે વચ્ચે તેને ગ્લૂકોઝ અને અન્ય દવાઓ આપવામાં આવી હતી. તેને જીવતો રાખવા માટે પ્રવાહી આપવામાં આવે છે. જેલ અધિકારી દ્વારા આ તમામ બાબતોની જાણકારી કોર્ટને પણ આપવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે સુકેશ ચંદ્રશેખર કોઈ પણ પ્રકારે તિહાર જેલમાંથી નીકળીને રાજ્યની અન્ય કોઈ જેલમાં શિફ્ટ થવા માંગે છે.

સુકેશ ચંદ્રશેખર બેંગ્લોર જેલમાં ટ્રાન્સફર થવા માંગે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ભૂખ હડતાલને કારણે તેનું પાંચ કિલો વજન ઘટી ગયું છે. આ પહેલા તેનું વજન ૭૨ કિલો હતું, જે ઘટીને ૬૭ કિલો થઈ ગયું છે.

સુકેશની હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને ૨૪ કલાક તેના પર નજર રાખવામાં આવે છે, જેથી તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને અથવા જેલના અન્ય કર્મચારીઓને લાંચ આપીને પોતાના ગેરકાયદેસર કામો કરાવવામાં સફળતા ન મેળવે.

(7:51 pm IST)