પી ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નાઇના ઠેકાણાઓ પર CBIના દરોડા
પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામેના કેસ સંદર્ભમાં
નવી દિલ્હી, તા.૧૭: કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના સ્થળો પર સીબીઆઈના દરોડા ચાલુ છે. સીબીઆઈ દિલ્હી અને ચેન્નાઈમાં કોંગ્રેસના નેતાના લગભગ ૭ સ્થળો પર દરોડા પાડી રહી છે. મળતી માહિતી મુજબ, આ દરોડા ચિદમ્બરમ વિરુદ્ધ જૂના કેસમાં નથી પાડવામાં આવ્યા, પરંતુ એક નવા કેસમાં તેમના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમના દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને તમિલનાડુના શિવગંગામાંના પરિસર પર દરોડા પાડી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે મંત્રીના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામેના કેસના સંદર્ભમાં આ શહેરોમાં મંત્રીના લગભગ સાત રહેણાંક મકાનો અને ઓફિસો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીએ ૨૦૧૦-૧૪ વચ્ચે થયેલા કથિત વિદેશી વ્યવહારોના સંબંધમાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. જે મુજબ દરોડા પાડવામાં આવ્યા છે.