મોંઘવારીથી હજુ કોઇ રાહત નહીં મળે, ઓગસ્ટ સુધીમાં રેપો રેટ ૦.૭૫% વધશે
SBI રિપોર્ટમાં જણાવે છે કે ફુગાવામાં યુધ્ધનો મોટો હાથ છે મોંઘવારીમાંથી કોઇ રાહત નહીં મળે અને વધવાની ભીતિ છે : SBI રિસર્ચ રિપોર્ટ જણાવે છે કે સેન્ટ્રલ બેંક સમક્ષ પડકાર એ છે કે શું યુધ્ધને સમાપ્ત કર્યા વિના એટલે કે માત્ર વ્યાજદરોમાં વધારો કરીને ફુગાવોને નિયંત્રિત કરી શકાય છે
મુંબઈ,તા. ૧૭: દેશની જનતા મોંઘવારીથી ખૂબ જ પરેશાન છે. ભારતમાં માત્ર CNG, PNG, એવિએશન ટર્બાઇન ફયુઅલ, LPG સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલ જ નહીં પરંતુ ખાદ્યપદાર્થો પણ ખૂબ મોંઘા થઈ ગયા છે. આવી સ્થિતિમાં, દેશની અગ્રણી બેંક એસબીઆઈના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ફુગાવામાં તાજેતરના ઝડપી વધારામાં લગભગ ૬૦ ટકા રુસો-યુક્રેન યુદ્ધથી ઉદ્વવતા પરિબળો દ્વારા ફાળો આપ્યો છે. આ અર્થશાસ્ત્રીઓને આશંકા છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે ઓગસ્ટ સુધીમાં પોલિસી રેપો રેટમાં ૦.૭૫ ટકાનો વધારો કરી શકે છે. આ રીતે રેપો રેટ મહામારી પહેલા ૫.૧૫ ટકાના સ્તરે પહોંચી જશે.
ફુગાવા પર રૂસ-યુક્રેન યુદ્ધની અસર પરના અભ્યાસમાં અર્થશાસ્ત્રીઓએ શોધી કાઢ્યું છે કે કિંમતોમાં ઓછામાં ઓછો ૫૯ ટકા વધારો યુદ્ધ દ્વારા સર્જાયેલી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે હતો. આ અભ્યાસમાં, કિંમતની સરખામણી માટે ફેબ્રુઆરી મહિનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અભ્યાસ મુજબ, માત્ર યુદ્ધને કારણે ખાદ્યપદાર્થો અને પીણા ઉત્પાદનો, બળતણ, પરિવહન અને ઊર્જાના ભાવમાં થયેલા વધારાએ ફુગાવામાં ૫૨ ટકા યોગદાન આપ્યું છે, જયારે દૈનિક વપરાશના ઉત્પાદનો સાથે સંકળાયેલા વધતા ખર્ચને કારણે ૭ ટકા અસર થઈ છે.
અર્થશાષાીઓએ તેમની ટિપ્પણીમાં કહ્યું છે કે મોંઘવારીની વર્તમાન પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો થવાની સંભાવના નથી. જોકે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાવ વધારાનું સ્વરૂપ અલગ-અલગ જોવા મળ્યું છે. ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી વધુ જોવા મળી રહી છે, જયારે શહેરી વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અસર વધુ જોવા મળી રહી છે. આ સાથે તેમણે સેન્ટ્રલ બેંકના પગલાને સમર્થન આપતા કહ્યું છે કે આ વધારાની પણ સકારાત્મક અસર થઈ શકે છે. આ મુજબ, ‘ઉંચો વ્યાજ દર નાણાકીય સિસ્ટમ માટે પણ સકારાત્મક રહેશે, કારણ કે જોખમો ફરીથી સેટ થશે.'
આરબીઆઈના બેન્ચમાર્ક ધિરાણ દરોમાં વધારો અને સારા ચોમાસાની સંભાવના ફુગાવાને કાબૂમાં રાખવામાં મદદ કરશે. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના નવા ચૂંટાયેલા પ્રમુખ સંજીવ બજાજે સોમવારે આ વાત કહી. બજાજે CII ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘મને વિશ્વાસ છે કે આપણે હવે ઊંચા વ્યાજ દરોના યુગમાં છીએ. આ અમને મોંઘવારી ઘટાડવામાં મદદ કરશે.
તેમણે કહ્યું કે સારા ચોમાસાની સંભાવના સહિતના વિવિધ પરિબળોને કારણે ‘આપણે વધુ સારી સ્થિતિમાં હોવા જોઈએ.' અને વર્ષના બીજા ભાગમાં, નીતિ નિર્માતાઓ ફુગાવો અને વ્યાજ દરો કેવી રીતે આગળ વધે છે તે નક્કી કરશે. બજાજે જણાવ્યું હતું કે વધતી જતી ફુગાવાની બે બાજુ છે - માંગ બાજુ અને પુરવઠાની બાજુ. ‘RBIએ પહેલેથી જ વ્યાજ દરો વધારવાનું ચક્ર શરૂ કરી દીધું છે અને આપણે આગામી વર્ષમાં વ્યાજદરમાં વધારાની અપેક્ષા રાખવી જોઈએ.