મુખ્ય સમાચાર
News of Tuesday, 16th January 2018

પદ્માવત ફિલ્મ પર આખરે હરિયાણામાં પણ પ્રતિબંધ

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ પ્રતિબંધ : સંજય લીલાની ફિલ્મની રજૂઆત પર હજુ સંકટના વાદળ

મુંબઈ, તા.૧૬ : સંજય લીલા ભાણશાલીની પદ્માવત ફિલ્મ પર હરિયાણામાં પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. અનેક રાજ્યોમાં પહેલાથી જઆ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. રાજસ્થાન અને ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં પહેલાથી જ પ્રતિબંધ મુકવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. હરિયાણાના આરોગ્યમંત્રી અનિલ વિજ દ્વારા આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. ૨૫મી જાન્યુઆરીના દિવસે આ ફિલ્મ રજૂ કરવામાં આવનાર હતી પરંતુ હવે તેના ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ ફિલ્મને લઇને કરણી સેનાએ જોરદાર વાંધો ઉઠાવ્યો છે. તોડફોડની ધમકી પણ આપી છે. દેશભરમાં હોબાળો થયા બાદ પહેલા આ ફિલ્મમાં ઘણા સીન કાપવામાં આવ્યા હતા અને ફિલ્મને રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હજુ પણ આ ફિલ્મમાં અનેક વાંધાજનક સીન હોવાની વાત કરવામાં આવી રહી છે જેથી આ ફિલ્મની રજૂઆત સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે તેના ઉપર હરિયાણામાં પણ પ્રતિબંધ મુકી દેવાયો છે. અત્રે નોંધનીય છે કે, રાજસ્થાનમાં સૌથી વધારે હોબાળો રાજપૂત સંસ્થા કરણી સેનાએ મચાવ્યો છે જેના કારણે હાલમાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ફિલ્મની રજૂઆત ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી અન્ય રાજ્યો પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે. રેડિયો સ્ટેશન ઉપર પણ હાલમાં તોડફોડ કરવા માટે કરણી સેનાના લોકો પહોંચ્યા હતા જેથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે નિર્ણય અકબંધ છે અને ફિલ્મ ઉપર પ્રતિબંધ રહેશે. આ ફિલ્મના નિર્માણ વેળાથી જ એક પછી એક વિવાદો થઇ રહ્યા છે. સંજય લીલા પર હુમલો પણ થઇ ચુક્યો છે.

(7:43 pm IST)