મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

સંજય દત્ત અચાનક મુંબઈથી દુબઈ માટે રવાના થઈ ગયો

ફેફસાના કેન્સર સામે જંગ લડી રહેલા સંજૂ બાબા અને માન્યતા મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં ગયા

મુંબઈ,તા.૧૬ : બૉલિવૂડ એક્ટર સંજય દત્ત ફેફસાંના કેન્સરનો સામનો કરી રહ્યા છે. એક્ટરે ૧૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પોતે લંગ કેન્સરથી પીડિત હોવાની જાણકારી પોતાના પ્રશંસકોને આપી હતી. આ બીમારી વિશે જાણતાં જ સંજય દત્તે તેની ટ્રીટમેન્ટ લેવાની શરૂ કરી દીધી છે. હાલમાં તેઓએ મુંબઈની એક ખાનથી હૉસ્પિટલમાં કીમોથેરપીનો પહેલું ચરણ પૂરું કર્યું છે. આ દરમિયાન અહેવાલ છે કે સંજૂ બાબા અચાનક મુંબઈ છોડીને વિદેશ જતા રહ્યા છે. તેમની પત્ની માન્યતા દત્ત પણ તેમની સાથે છે. એક્ટરે મુંબઈ અચાનક છોડતાં પ્રશંસકો તેમની ચિંતા કરી રહ્યા છે. સંજય અને માન્યતા બંને ચાર્ટર્ડ ફ્લાઇટમાં સાથે ગયા છે. સંજય દત્ત પોતાની પત્ની માન્યતા દત્તની સાથે ૧૫ સપ્ટેમ્બરની સાંજે ૪ વાગ્યે મુંબઈથી દુબઈ માટે રવાના થયા છે. અહેવાલ મુજબ, એક્ટર પોતાના બાળકો શહરાન અને ઇકરાને ખૂબ મિસ કરી રહ્યા હતા અને તેમને મળવા માટે જ તેઓ દુબઈ રવાન થયા.

                              રિપોર્ટમાં સૂત્રોએ જણાવ્યું કે, લગભગ ૭થી ૧૦ દિવસ સુધી દુબઈમાં રહ્યા બાદ સંજય અને માન્યતા પરત મુંબઈ આવી જશે. શહરાન અને ઇકરા હાલ દુબઇમાં છે અને પોતાના ક્લાસિસ લઈ રહ્યા છે. સંજય દત્તને ફેફસાંના કેન્સર સામે લડતાં એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. અનેકવાર તેમને હૉસ્પિટલ જતાં પણ સ્પોટ કરવામાં આવ્યા છે. સંજય દત્ત કેન્સર સામે જંગ લડી રહ્યા છે પરંતુ તેઓએ આ બીમારીને પોતાના કામને આડે આવવા દીધી નથી. તેઓ સારવારની સાથોસાથ પોતાની નવી ફિલ્મ શમશેરાના શૂટિંગ ઉપર પણ ફોકસ કરી રહ્યા છે. નોંધનીય છે કે, મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં હાલમાં સંજય દત્તની સારવાર ચાલી રહી છે અને એક્ટર સતત ડૉક્ટર્સના સંપર્કમાં છે. સંજય દત્તની આવનારી ફિલ્મોની વાત કરીએ તો એક્ટર ટૂંક સમયમાં ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૨, રણબીર કપૂર સાથે શમશેરા, ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયામાં જોવા મળશે.

(7:16 pm IST)