નિરવ જાન્યુઆરી મહિનામાં જ ભારતથી જતા રહ્યા હતા
નિરવ પોતાના પરિવાર સાથે જતા રહ્યા હતા : પંજાબ નેશનલ બેંક તરફથી સીબીઆઈને ફરિયાદ મળે તેના થોડાક દિવસ પહેલા નિરવ મોદી ફરાર થયા હતા
નવીદિલ્હી, તા. ૧૫ : અબજોપતિ જ્વેલરી ડિઝાઈનર નિરવ મોદી સીબીઆઈને પંજાબ નેશનલ બેંક તરફથી ફરિયાદ મળે તેના ખુબ પહેલા દેશ છોડી ચુક્યા હતા. પહેલી જાન્યુઆરીના દિવસે નિરવ મોદી દેશ છોડીને જતા રહ્યા હતા. ૨૯મી જાન્યુઆરીના દિવસે સીબીઆઈને ૨૮૦ કરોડ રૂપિયાના ફ્રોડના સંદર્ભમાં માહિતી મળી હતી. અધિકારીઓનું કહેવું છે કે, તેમના ભાઇ મિશાલ જે બેલ્જિયમના નાગરિક છે. તેઓ પણ પહેલી જાન્યુઆરીના દિવસે દેશ છોડીને જતાં રહ્યા હતા. તેમના પત્નિ અમી જે યુએસના નાગરિક છે અને બિઝનેસ પાર્ટનર મેહુલ ચોક્સી જે ગીતાંજલિ જ્વેલર્સ ચેઇનના ભારતીય પ્રમોટર છે તે છઠ્ઠી જાન્યુઆરીના દિવસે દેશ છોડી ચુક્યા હતા. આ તમામ ચારેય સામે એજન્સી દ્વારા સરક્યુલર જારી કરવામાં આવ્યું છે. તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ સરક્યુલર જારી કરીને તપાસ હાથ ધરાઈ હતી. એન્ફોર્સમેન્ટ સંસ્થાઓ દ્વારા લુકઆઉટ સરક્યુલર જારી કરીને તમામ પગલા લેવાયા હતા. મોદી સ્વિત્ઝર્લેન્ડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારતીય સીઈઓના ગ્રુપ ફોટોમાં તેઓ ઉપસ્થિત દેખાયા હતા. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા જે ફોટો જારી કરાયો હતો તેમાં તેઓ હતા. ૨૩મી જાન્યુઆરીના દિવસે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેઓ દેખાયા હતા. બેંક સીબીઆઈને તેમની સામે તેની પ્રથમ ફરિયાદ મોકલે તેના છ દિવસ પહેલા તેઓ દેખાયા હતા.