SC વિવાદઃ આજકાલ નહીં પાછલા 20 વર્ષોથી સંવેદનશીલ કેસ જુનિયર જજીસના ફાળે
નવી દિલ્હીઃ શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ જજીસ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરીને CJI વિરુદ્ધ કાગારોળ મચાવી મુકવામાં આવી હતી કે પાછલા થોડાક મહિનાથી તેઓ સંવેદનશીલ મુદ્દા ધરાવતા કેસ સિનિયર જજીસને નહીં પરંતુ જુનિયર જજીસને સોંપે છે અને ન્યાયતંત્ર ખતરામાં હોવાનો આરોપ સુદ્ધા મુકવામાં આવ્યો હતો.
CJI પર સીનિયર જજીસના આરોપ પોતે જ શંકાસ્પદ
જોકે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રા પર મુકવામાં આવેલ આરોપ પોતાનામાં જ શંકાસ્પદ લાગે છે જ્યારે પાછલા 20 વર્ષનો ઇતિહાસ જોવામાં આવે તો લગભગ તમામ મોટા કેસ સુપ્રીમ કોર્ટના જુનિયર જજીસની સિલેક્ટેડ બેન્ચને જ સોંપવામાં આવ્યા હતા. જ્યારે CJI જસ્ટિસ દિપક મિશ્રાએ ગત ઓગસ્ટ મહિનામાં જ પદ સંભાળ્યું છે.
પાછલા 20 વર્ષોમાં તમામ અતિ સંવેદનશીલ કેસો જુનિયર જજીસના ફાળે
અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિાયાએ આ મામલે પાછલા 20 વર્ષના 15 અતિ સંવેદનશીલ કેસોનો ઇતિહાસ તપાસ્યો છે અને આ બધા જ કેસ રાષ્ટ્રીય મહત્વ ધરાવતા હતા. જેમાં બોફોર્સ કૌભાંડ, રાજીવ ગાંધી હત્યા, બાબરી મસ્જિદ કેસમાં એલ. કે. અડવાણી, શોહરાબુદ્દીન શૈખ એન્કાઉન્ટર કેસ, બેસ્ટ બેકરી અને BCCIનો કેસ આ તમામ કેસમાં એક જ વાત કોમન છે તે છે કે તત્કાલિન દરેક CJI દ્વારા ચારમાંથી કોઈપણ સિનિયર જજને નહીં પરંતુ ‘સિલેક્ટેડ બેંન્ચ’ના જુનિયર જજીસને જ સોંપણી કરી છે.
ભૂતકાળ જોતા સિનિયોરીટ કેસ ફાળવણીમાં મહત્વનો માપદંડ નહીં
ત્યારે જે રીતે સુપ્રીમ કોર્ટના ચાર માનનીય અને વરિષ્ઠ જજીસ દ્વારા CJIને કેસની સોંપણી માટે રોસ્ટર તૈયાર કરતી વખતે સીનિયર જજીસને પ્રાધાન્ય આપવાની જે સૂચન કરવામાં આવ્યું છે તેમાં કેસની ફાળવણી માટે જજોની સિનિયોરિટી કોઈ મહત્વનો માપદંડ હોય તેવું ભૂતકાળ જોતા તો લાગતું નથી.
CJI દ્વારા રોસ્ટરમાં બેંચનું રેન્ડમ સિલેક્શન
જ્યારે જે રીતે CJIએ કેસની સોંપણી કરી છે તેમાં કોઈ એક બેંચ પ્રત્યે લગાવ નહીં પરંતુ રેન્ડમ સિલેક્શન જોવા મળી રહ્યું છે. જોકે અસંતુષ્ટ જજીસે ક્યા કેસની વાત કરી રહ્યા હતા તેનો ઉલ્લેખ તો નથી કર્યો પરંતુ તેમણે એક માત્ર CBI જજ જસ્ટિસ લોયાના કથિત શંકાસ્પદ મોત અંગેના કેસનો ઉલ્લેખ કર્યો હતો. આ રીતે જોતા ‘જુનિયર જજીસ’ની બેંચ એટલી સક્ષમ ન હોવાનો તેમનો વ્યુ પાછલા બધા ચીફ જસ્ટિસ સાથે મેચ થતો નથી.
સીનિયોરીટીને મુખ્ય માપદંડ બનાવતા અન્ય બેંચની સ્વતંત્રતા પર તરાપ
જ્યારે બીજા કેટલાક કાયદાકીય નિષ્ણાંતોએ પણ દલીલ કરી છે કે સીનિયર જજીસ દ્વારા જે વિવાદ ઉઠાવાયો છે તે સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચની સ્વતંત્રતા પર તરાપ મારવા જેવું કામ છે અને આવા આરોપ માટે તેમની પાસે યોગ્ય પુરાવા અને માનવા યોગ્ય ઠોસ દલીલો હોવી જોઈએ.
ન્યાયતંત્રમાં ઘુસ્યું રાજકરણ!
જ્યારે એક પક્ષનું માનવું છે કે સીનિયર જજીસે જે આરોપ લગાવ્યા છે તે બેંચ ફિક્સિંગના મામલે CJIએ સ્પષ્ટતા કરવી જોઈએ કેમ કે રોસ્ટર તૈયાર કરવાની જવાબદારી તેમની છે. તો જે લોકો બળવાખોર જજીસથી અલગ મત ધરાવે છે તેમનું કહેવું છે કે આ સજેશનથી સરકારને મુંઝવણમાં મુકતા કેસમાં મદદ મળશે. તેનાથી જુદા જુદા કેસમાં સુપ્રીમ કોર્ટની વિભિન્ન બેંચ પર દબાણ નાખવાના સાધન તરીકે આ સજેશનનો ઉપોયગ થશે.