મુખ્ય સમાચાર
News of Sunday, 14th August 2022

છિંદવાડામાં દેરાણી અને જેઠાણીની આત્મહત્યાના મામલામાં ચોંકાવનારો ખુલાસો : બંનેના એક જ યુવક સાથે અનૈતિક સંબંધો હોવાનું ખૂલ્યું

બદનામીના ડરથી ત્રણેય એકસાથે કૂવામાં કૂદી પડ્યા : યુવક તરીને બહાર નીકળી ગયો જ્યારે દેરાણી-જેઠાણી મૃત્યુ પામ્યા

છિંદવાડા તા.14 : છિંદવાડા જિલ્લાનાં સોનપઠાર ગામમાં થયેલ દેરાણી અને જેઠાણીની આત્મહત્યાની ઘટનામાં નવો વણાંક આવ્યો છે. એક જ પરિવારની દેરાણી અને જેઠાણી બંનેના ગામના એક જ યુવક સાથે અનૈતિક સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. બદનામીના ડરથી ત્રણેય એકસાથે કૂવામાં કૂદી પડ્યા હતા. પરંતુ યુવક તરીને બહાર નીકળી ગયો હતો અને દેરાણી-જેઠાણી મૃત્યુ પામ્યા હતા.

મધ્ય પ્રદેશના છિંદવાડામાં લાવાઘોઘરીના સોનપઠારમાં દેરાણી-જેઠાણીના આપઘાત કેસમાં મહત્વની જાણકારી સામે આવી છે. એક જ યુવક સાથેના પ્રેમ સંબંધને કારણે બંનેએ મોતનો માર્ગ પસંદ કર્યો હતો. આપઘાત કરતા પહેલા બંને આ યુવક સાથે ભાગી ગયા હતા. તેઓ બે દિવસ સુધી જંગલમાં સંતાઈ રહ્યાં. આ પછી પ્રેમી યુવકે સામૂહિક આત્મહત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. ત્રણેય કૂવામાં કૂદી પડ્યા અને પછી યુવક પાણીમાંથી તરીને બહાર નીકળી ભાગી ગયો હતો. પોલીસની તપાસમાં આ કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.

લાવાઘોઘરીના સોનપઠારમાં રહેતી 30 વર્ષીય સુશીલાના અને તેની દેરાણી 27 વર્ષીય શ્યામવતી કોરાચીના મૃતદેહ મંગળવારના રોજ પરાસિયા-બેતુલ રોડ પર સોનપઠારના રહેવાસી હરિરામ સારેયમના ખેતરના કુવામાંથી મળી આવ્યા હતા માહિતી મળ્યા બાદ પોલીસે મૃતદેહોને તાબે લઈ બુધવારે જિલ્લા હોસ્પિટલમાં મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દેરાણીને ગામમાં રહેતા સ્વામી સાથે સંબંધ હતો. આ પછી જેઠાણીના સંબંધો પણ બન્યા હતા. આ રીતે દેરાણી જેઠાણીના એક જ યુવક સાથે અનૈતિક સબંધો ચાલી રહ્યા હતા. આ વાત દિયરને ખબર પડી ગઈ અને તેના થકી બંનેના પતિઓને ખબર પડી ગઈ હતી. બદનામી થવાના ડરથી તે બંનેએ વિચિત્ર પગલું ભર્યું હતું. મામલો બગડતો જોઈને બંને મહિલાઓ તેમના પ્રેમી સ્વામી સાથે ભાગી ગઈ હતી અને રવિવારે મૈનીખાપાના જંગલમાં છુપીને રહી હતી.

બે દિવસ પછી ત્રણેય ખેતરના કૂવામાં કૂદી પડ્યા. સ્વામી પાણીમાંથી તરીને બહાર આવ્યો, જ્યારે બંને મહિલાના મોત થયા હતા. આ ઘટસ્ફોટ બાદ પોલીસે સ્વામી પર કલમ 306 હેઠળ કેસ નોંધીને મામલાની તપાસ હાથ ધરી છે.

(8:42 pm IST)