જાપાનમાં ભારે વરસાદ બાદ પૂરથી તબાહી : ભૂસ્ખલન-પૂરને કારણે અનેક મકાન ધરાશાયી
જાપાન સરકારે 4 દક્ષિણ-પશ્ચિમી પ્રદેશમાંથી 12 લાખ લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો આદેશ આપ્યો : ૫ હજાર ઘરોમાં વિજળી નથી : બુલેટ ટ્રેન સેવાને પણ અસર
જાપાનમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરને કારણે ઘણા મકાનો ડૂબી ગયા હોવાના એહવાલ સામે આવી રહ્યાં છે. આ કારણે મોટીસંખ્યામાં લોકો બેઘર થયા છે. ભારે વરસાદને કારણે થયેલી તબાહીને જોતા જાપાન સરકારે 4 દક્ષિણ-પશ્ચિમી પ્રદેશમાંથી 12 લાખ લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો આદેશ આપ્યો છે.
આ દરમિયાન ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યાં છે. અહીં સ્થિતિ સતત બગડી રહી છે. સતત વધી રહેલા જોખમને પગલે સરકાર એલર્ટ છે. સરકારે 1 મહિલાના મોત અને 2 લોકોના ગુમ હોવાની પૃષ્ટિ કરી છે. આ સાથે જ ફુકુઓકા, સાગા, નાગાસાકી અને હિરોશિમાના નાગરિકોને સલામત સ્થળે ખસેડવા સરકારે આદેશ કર્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ જોખમી સ્તરની ઉપર વહી રહી છે. 5 હજારથી વધુ ઘરોમાં વિજળી નથી. જ્યારે બુલેટ ટ્રેન સેવાઓને પણ મોટાપાયે અસર થઈ છે.
ભારે વરસાદથી જાપાનમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જેનાથી સામાન્ય જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. તોહોકૂ ઈલેક્ટ્રિક પાવર કંપનીએ જણાવ્યું કે અંદાજીત 5,000થી વધુ ઘરોમાં વીજળીના સુવિધા નથી. શિન્કાનસેન બુલેટ ટ્રેન સેવાઓ સહિતના વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. વિવિધ સ્થળોએ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.