મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

૧ એપ્રિલ ૨૦૧૮થી બદલાઇ જશે ઇન્કમ ટેકસના આ ૮ નિયમ

નવી દિલ્હી તા. ૧૩ : આ વખતે બજેટમાં નાણાંમંત્રી અરૂણ જેટલીએ ટેકસ સ્લેબ નથી બદલ્યા પરંતુ બીજા કેટલાંક ફેરફાર કર્યા છે. મ્યુચ્યુઅલ ફંડમાં કમાણી પર કેપિટલ ગેઈન ટેકસ લગાવવાથી માંડીને સિનિયર સિટીઝન્સને વિવિધ રાહત આપવા સુધી, નાણાંમંત્રી જેટલીએ કેટલીય મહત્વની જાહેરાતો કરી છે. આમાંથી મોટાભાગના પ્રસ્તાવ ૧ એપ્રિલથી લાગુ પડી જશે. જાણો આવકવેરાને લગતા કયા કયા નિયમો ૧ એપ્રિલથી બદલાવાના છે.

સ્ટાન્ડર્ડ ડિડકશન

બજેટ ૨૦૧૮માં નાણાંમંત્રી અરૂણ જેટલીએ નોકરિયાતો અને પેન્શન મેળવનારાઓને ૪૦,૦૦૦ રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડકશનનો લાભ આપ્યો છે. આ સાથે ૧૯,૨૦૦ રૂપિયાનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને ૧૫,૦૦૦ રૂપિયાના મેડિકલ રિએમ્બર્સમેન્ટની સુવિધા પાછી ખેંચવામાં આવી છે.

સેસ વધ્યો

નાણાંમંત્રીએ વ્યકિતગત કરદાતાઓ પર આવકેવેરા પર સેસ વધારીને ૪ ટકા કરી દીધો છે. આથી તમારે જેટલો ટેકસ ભરવાનો થશે તેનો ૪ ટકા સ્વાસ્થ્ય અને શિક્ષા સેસ સ્વરૂપમાં આપવો પડશે. અગાઉ આ ૩ ટકા હતો. ઉલ્લેખનીય છે કે સેસની કુલ રકમ કેન્દ્ર સરકાર પાસે રહે છે. જયારે ટેકસમાંથી મેળવેલી રકમમાં રાજયોની ભાગેદારી હોય છે.

LTCG ટેકસ લાગુ પડશે

૧ એપ્રિલ ૨૦૧૮થી ૧ વર્ષની હોલ્ડિંગ વાળઆ શેર કે ઈકિવટી મ્યુચ્યુઅલ ફંડથી થયેલી ૧ લાખ રૂપિયાથી વધુની કમાણી પર ૧૦ ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ લાગુ પડી જશે. ૩૧ જાન્યુઆરી સુધી થયેલા નફા પર ટેકસમાંથી મુકિત મળશે. ૧ ફેબ્રુઆરી બાદ શેર અથવા ઈકિવટી મ્યુચ્યુઅલ ફંડમાં થયેલા વધારામાંથી ૧ લાખ રૂપિયા ઘટાડીને જ ટેકસ આપવો પડશે.

સિંગલ પ્રીમિયમ વાળા ઇન્શ્યોરન્સ પર વધારે છૂટ

થોડા વર્ષો સુધી ઈન્શ્યોરન્સની રકમ આપવા પર હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ થોડુ ડિસ્કાઉન્ટ આપતી હતી. પહેલા વીમા લેનાર લોકો ૨૫,૦૦૦ રૂપિયા સુધીની રકમ પર ટેકસ ડિડકશન કલેઈમ કરીશકતા હતા. પરંતુ આ બજેટમાં એક વર્ષથી વધારેના સિંગલ પ્રીમિયમ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસી પર છૂટનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, બે વર્ષના ઈન્શ્યોરન્સ કવર માટે તમને ૪૦,૦૦૦ રૂપિયા આપવા પર ઈન્શ્યોરન્સ કંપની ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપતી હશે તો તમે બંને વર્ષ ૨૦-૨૦ હજારનું ટેકસ ડિડકશન કલેઈમ કરી શકો છો.

NPSમાં રકમ ઉપાડવા પર લાભ

નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં જમા કરાવેલી રકમ કઢાવવા પર ટેકસની છૂટનો લાભ હવે એ લોકોને પણ મળશે જે કર્મચારી નથી. NPSમાં પૈસા જમા કરાવનાર કર્મચારીને એકાઉન્ટ બંધ કરાવતી વખતે અથવા તો NPSમાંથી રૂપિયા ઉપાડતી વખતે ૪૦ ટકા જેટલી ટેકસમાં છૂટ આપવામાં આવે છે. હાલમાં આ ટેકસ એકઝેમ્પશન નોન-એમ્પ્લોયી સબસ્ક્રાઈબર્સ માટે ઉપલબ્ધ નથી. ૧ એપ્રિલથી તેનો લાભ તેમને પણ મળશે.

સીનિયર સિટીઝનને વ્યાજની આવક પર વધારે છૂટ

વરિષ્ઠ નાગરિકોને બેન્ક તથા પોસ્ટ ઓફિસોમાં જમા કરાવેલી રકમમાંથી મળતા ૫૦ હજાર રૂપિયા સુધીના વ્યાજને ટેકસ ફ્રી કરી દેવાયું છે. અત્યાર સુધી આવકવેરા ધારાની કલમ ૮૦ TTA અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને વ્યાજમાંથી ૧૦,૦૦૦ રૂપિયા સુધી ટેકસમાં બાદ મળતા હતા. પરંતુ હવે નવી કલમ ૮૦ TTA જોડવામાં આવી છે જે અંતર્ગત સીનિયર સીટિઝનને FD અને RD ર ૫૦,૦૦૦ રૂપિયા સુધી મળતુ વ્યાજ ટેકસ ફ્રી હશે. કલમ ૧૯૪ એ અંતર્ગત ટીડીએસ કાપવાની જરૂર પડશે નહિ.

પ્રધાનમંત્રી વયવંદન યોજના

સરકારે પ્રધાનમંત્રી વયવંદન યોજનામાં ઈન્વેસ્ટમેન્ટની મર્યાદા ૭.૫ લાખથી વધારી ૧૫ લાખ રૂપિયા કરી નાંખી છે. આ યોજના લંબાવીને ૨૦૨૦ સુધી કરી દીધી છે. આ યોજનામાં ઈન્વેસ્ટ કરેલી રકમ પર ૮ ટકા વ્યાજ મળે છે.

માંદગીની સારવારના ખર્ચ પર છૂટ

અમુક પ્રકારની બીમારીઓની સારવારના ખર્ચ પર ટેકસની છૂટની મર્યાદા વધારીને ૧ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. અગાઉ ૮૦ વર્ષથી મોટી વયની વ્યકિત માટે આ સીમા ૮૦ હજાર અને ૬૦થી ૮૦ વયની વ્યકિત માટે સીમા ૬૦ હજાર હતી.સેકશન 80 D અંતર્ગત સીનિયર સીટિઝનને હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ અને જનરલ મેડિકલ એકસપેન્ડિચર પર ટેકસ છૂટની મર્યાદા ૩૦ હજારથી વધારી ૫૦ હજાર કરી દેવામાં આવી છે.

(4:41 pm IST)