પ્રાંસલા શિબિરની દુર્ઘટના ખૂબજ દુઃખદ, તમામ શિબિરાર્થીઓને એક દિવસ વહેલા ઘરે મોકલી દેવાયાઃ પૂ. ધર્મબંધુજી સ્વામી
રાજકોટ, તા. ૧૩ :. ગઈકાલે મોડી રાત્રીના પ્રાંસલા ખાતે આયોજીત રાષ્ટ્રકથા શિબિરમાં ભાગ લઈ રહેલા શિબિરાર્થીઓના ટેન્ટમાં આગ લાગતા ૩ બાળાઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે ત્યારે શિબિરના આયોજક પૂ. ધર્મબંધુજીએ દુઃખ વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, દર વર્ષે રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખતે શોટસર્કિટના કારણે આગ લાગતા ૩ શિબિરાર્થીઓ મોતને ભેટતા આ ઘટના દુઃખજનક બની છે અને ઉંડો આઘાત અનુભવુ છું.
પૂ. ધર્મબંધુજી સ્વામીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આ દુઃખદ દુર્ઘટના બાદ શિબિર એક દિવસ વહેલી પુરી કરી દેવામાં આવી છે અને શિબિરાર્થીઓને આજે વહેલી સવારથી પોતાના ઘરે બસમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં જમ્મુ કાશ્મીરના ૨૫ જેટલા શિબિરાર્થીઓ પ્રાંસલા ખાતે રોકાયા છે અને તેઓને કાલે જમ્મુ કાશ્મીર મોકલી દેવામા આવશે.