મુખ્ય સમાચાર
News of Tuesday, 13th October 2020

રાજકોટના ૩૫ વર્ષના બ્રહ્મ યુવાનનું વિદેશમાં અચાનક નિધન : જીવનસાથી ધરાબેનના કપરા કાળમાં મુખ્યમંત્રીશ્રીની માનવતાલક્ષી ભૂમિકા

વિજયભાઈની પ્રેરક સંવેદનશીલતાઃ કશ્યપ દવેનું શારજહાંમાં નિધન, અને...

ધરાબેનને રાજકોટમાં આઘાતજનક સમાચાર મળ્યાઃ ભૂદેવ પરિવારના સંકટ સમયે 'અકિલા' માધ્યમ બન્યુઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ધરાબેન સાથે ટેલીફોનિક વાત કરીને તાત્કાલીક શારજહાથી ડેડબોડી રાજકોટ લાવવા પ્રક્રિયા શરૂ કરાવી : સાંત્વના આપી

રાજકોટ, તા. ૧૩ : કયારે કઈ વ્યકિત કે પરિવારજન ઉપર વ્રજઘાત આવી પડે તે કંઈ કહી શકાતુ નથી. હસતા - રમતા પરિવારજન ઉપર આભ ફાટી પડે છે. આખે આખો માળો જ વિખાઈ જાય છે. એમાં પણ કોઈ પરિવારનો સભ્ય વિદેશમાં નોકરી કરતો હોય અને ત્યાં પરિવારના મોભીનું દુઃખદ અવસાન થઈ જાય તો તે પરિવાર ઉપર શું સ્થિતિ સર્જાય તે વિચારીને પણ કમકમાટી આવી જાય. આવા જ એક બનાવમાં રાજકોટના પરિવારનો યુવાન વિદેશ કમાવા માટે જાય છે અને ત્યાં તેમનું અવસાન થઈ જાય છે અને 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આ પરિવારને બની શકે તેટલી પૂરતી મદદ કરી માનવતાનું એક ઉદાહરણ પૂરૂ પાડ્યુ હતું.

આ બનાવની સંપૂર્ણ વિગત જાણીએ તો ધરાબેન દવે નામના એક બહેન આજે 'અકિલા' કાર્યાલયે ચોધાર આંસુએ રડતા - રડતા આવ્યા અને કહ્યુ મારે કિરીટકાકાને મળવું છે.

ચોધાર આંસુએ રડતા - રડતા ધરાબેન દવેએ 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે મારા પતિ કશ્યપ દવે (ઉ.૩૫) ૧૨ દિવસ પહેલા જ શારજહાં ગયા હતા. જયાં તેઓ ટુરીસ્ટ વિઝામાં ગયા હતા. જયાં તેઓ 'લુલુ' નામના કોઈ મોલકમાં કે જે અંદાજે શારજહાના રોલામાં આવેલો છે. ત્યાં નોકરી કરી રહ્યા હતા. દરમિયાન ગઈકાલે તેમનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયેલ. આ બાબતની જાણ તેઓની સાથે રહેતા એક વ્યકિતએ તેમને ફોન ઉપર કહી હતી. હવે ત્યાંથી (શારજહા) મૃતદેહ રાજકોટ કઈ રીતે લાવવો, શું કરવું તેની કોઈપણ જાતની પ્રોસીજરની મને ખબર નથી.

કિરીટભાઈએ તુરંત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ સમગ્ર હકીકત જણાવી અને ધરાબેનને પણ મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાથે વાત કરાવી વિજયભાઈએ ધરાબેનને ખૂબ જ સાંત્વના આપી અને કહ્યું કે, બહેન તમે કોઈપણ જાતની ચિંતા ન કરો તમારા પતિનો મૃતદેહ શારજહાથી લાવવાનું તુરંતમાં વિધિ શરૂ કરી દેવાશે અને થોડી જ વારમાં તેની કામગીરી શરૂ પણ થઈ ગઈ.

આમ, રાજકોટના ૩૫ વર્ષના યુવાનનું વિદેશમાં અચાનક નિધન થતા તેમના જીવન સંગીની ધરાબેન અને પુત્રીના કપરા કાળમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ માનવતાની ભૂમિકા અદા કરી હતી અને ભૂદેવ પરિવારના સંકટ સમયે આ પરિવારને મદદરૂપ થવામાં 'અકિલા' માધ્યમ બન્યુ હતું.

(2:38 pm IST)