શ્રીનગરમાં સુંઝવા જેવા હુમલાનો પ્રયાસ નિષ્ફળ
એકે.૪૭ રાઇફલ સાથેના બે ત્રાસવાદીઓને સીઆરપીએફએ ભગાડી દીધા
શ્રીનગર તા.૧ર : એક તરફ સેના હજુ જમ્મુના સુંઝવા આર્મી કેમ્પ ઉપર થયેલા હુમલાના ઓપરેશનને અંજામ આપી રહી છે તો બીજી તરફ શ્રીનગરમાં ત્રાસવાદીઓએ વધુ એક હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્રાસવાદીઓના આ પ્રયાસને સીઆરપીએફએ નિષ્ફળ બનાવ્યો હતો.
આજે સવારે શ્રીનગરના કરણનગરમાં બે ત્રાસવાદીઓ કે જેઓ એ.કે.૪૭થી સજ્જ હતા તેઓ આર્મી કેમ્પ તરફ આગળ વધી રહ્યા હતા પરંતુ સીઆરપીએફએ તેઓને જોતા જ ગોળીબાર કર્યો હતો અને તે પછી ત્રાસવાદીઓ ભાગી ગયા હતા. હવે તેઓને શોધવા માટે ઓપરેશન ચાલુ થયુ છે. ત્રાસવાદીઓની આ નિષ્ફળ કોશિષ વહેલી સવારે ૪-૩૦ કલાકની હતી. શ્રીનગરમાં ફરીથી હિમપાત શરૂ થયો છે. જેનો ફાયદો ત્રાસવાદીઓ લેવા માંગે છે.
ત્રાસવાદીઓએ આ નિષ્ફળ પ્રયાસ શ્રીનગરના એસએમએચએસ હોસ્પિટલની પાસે બનેલા આર્મી કેમ્પ ઉપર કર્યો હતો. થોડા દિવસ પહેલા જ આ હોસ્પિટલ ઉપર હુમલો થયો હતો. જયાંથી ત્રાસવાદીઓ પોતાના એક સાથીદારને ભગાડીને લઇ ગયા હતા. હોસ્પિટલની પાસે જ સીઆરપીએફની ર૩મી બટાલીયનનું વડુ મથક આવેલુ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ત્રાસવાદીઓ તરફથી કોઇ ગોળીબાર કરવામાં આવ્યો ન હતો જેવી જાણ થઇ કે ત્રાસવાદીઓ છે કે તરત જ કવીક રિએકશન ટીમ અને જે.કે.પોલીસની ટીમે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. (૩-૩)