ગુજરાતમાં પણ સીએમ યોગીની બોલબાલા
જે ૨૫ વિધાનસભા સીટો પર સીએમ યોગીએ રેલીઓ કરી હતીઃ તેમાંથી ૧૮ સીટો પર ભાજપને જીત મળી
નવી દિલ્હી,તા. ૧૦ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી પ્રચંડ જીતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મહત્વની ભૂમિકા રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન સ્ટાર પ્રચારક રહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપ ઉમેદવારોના સમર્થનમાં ઉપરાઉપરી રેલીઓ કરી હતી. તેનું જ પરિણામ રહ્યું કે, જે ૨૫ વિધાનસભા સીટો પર સીએમ યોગીએ રેલીઓ કરી હતી, તેમાંથી ૧૮ સીટો પર ભાજપને જીત મળી છે.
હકીકતમાં જોઈએ તો, ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન સીએમ યોગીની ખૂબ ડિમાન્ડ હતી. તેમણે ગુજરાતની કુલ ૨૫ વિધાનસભા સીટ પર પ્રચાર કર્યો હતો, જેમાથી ૯ સીટ એવી હતી જેના પર ૨૦૧૭માં કોંગ્રેસનો કબ્જો હતો. ગુરુવારે ૮ ડિસેમ્બરે જયારે પરિણામ આવ્યા તો, ભાજપે વાકાનેર, ઝઘડીયા, ચોરયાસી, સંખેડા, મહેમદાવાદ, દ્વારકા, રાપર, ધ્રાંગધ્રા, વરાછા, સોમનાથ, સાવરકુંડલા, વીરમગામ, ઉમરેઠ, ડભોઈ, ગોધરા, ધંધુકા, ધોળકા અને મહુવા વિધાનસભામાં જીત મળી છે. જે સીટ પર ભાજપને હાર મળી ત્યાં પણ ખૂબ જ ઓછા અંતરે હાર થઈ છે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલને પણ યોગીએ જીતાડી દીધો હતો. હાર્દિક પટેલ વીરમગામ વિધાનસભા સીટ જીત્યા છે. આ સીટથી તેમને આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોરને ૫૧૭૦૭ વોટથી હરાવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સીટ પર ૨૬ નવેમ્બરે પ્રચાર કર્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૧૮ નવેમ્બરથી પ્રચાર શરુ કર્યો હતો. તેમણે દરરોજ ત્રણથી ચાર રેલી અને રોડ શો કર્યા હતા. મોરબીના વાંકાનેરથી પ્રચારની શરુઆત કરી હતી. જયાં થોડા દિવસ પહેલા કેબલ બ્રિજ તૂટી પડતા મોટી દુર્ઘટના થઈ હતી. વિપક્ષે આ મુદ્દાને ચૂંટણીમાં જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમ છતાં પણ ભાજપ આ સીટ જીતવામાં સફળ રહ્યું હતું.