ઓબીસી અનામત માટેનું બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર: સમર્થનમાં ૩૮૫ મત: વિરોધમાં ૦ મત
નવી દિલ્હી : લોકસભામા ઓબીસી અનામત માટેનું બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર કરાયુ છે. લોકસભામાં આ બિલના સમર્થનમાં ૩૮૫ સભ્યોએ મત આપ્યો હતો. કોઈ સભ્યોએ ઓબીસી અનામત માટે બંધારણ સુધારણા બિલનો વિરોધ કર્યો નથી.
હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે. સુપ્રીમ કોર્ટે, મરાઠા અનામતને લગતા કેસ પર સમીક્ષા કરવાની અરજીની સુનાવણી કરવાની માંગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ૧૦૨ માં બંધારણીય સુધારા બાદ માત્ર કેન્દ્રને જ ઓબીસી યાદી જાહેર કરવાનો અધિકાર છે, રાજ્યોને નહી.
આ સાથે, વિપક્ષી દળોએ ગૃહમાં પણ અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધારવાની માંગ પણ કરી છે.
ઓબીસી બીલ પસાર થયા અગાઉ સંસદમાં ઓબીસી બિલ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે આ બિલ રજૂ થયા બાદ રાજ્ય સરકારોને ઓબીસી જ્ઞાતિની યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે. કોંગ્રેસ સહિત અન્ય તમામ વિરોધ પક્ષોએ પણ આ બિલને ટેકો આપ્યો છે.