મુખ્ય સમાચાર
News of Tuesday, 10th August 2021

રાજકોટ શહેરમાં મલ્ટીપ્લેકસ બિલ્ડીંગો, હોટેલો, બહુમાળી ભવનો, ઝવેરાત વેચનાર દુકાનો, મોલ, ધાર્મિક સ્‍થળો, શો-રૂમ્‍સ વગેરેમાં સી.સી. ટી.વી. કેમેરા મુકવાના રહેશે

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું સી.સી.ટી.વી. અંગેનું જાહેરનામું

રાજકોટ :રાજકોટ શહેરમાં આતંકવાદી બનાવ બનતો અટકાવવા, જાહેર  સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નરેટ વિસ્તારમાં તા. ૦૯/૦૮/૨૦૨૧ થી તા.૩૧/૦૮/૨૦૨૧ સુધી બેંકીંગ સંસ્‍થાઓ, એ.ટી.એમ.સેન્‍ટરો, સોના,ચાંદી અને ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ થીયેટર, શોપીંગ સેન્‍ટર, કોમર્શીયલ સેન્‍ટર, હોટેલ, ગેસ્‍ટ હાઉસ, લોજીંગ-બૉર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો,  મોટા ધાર્મિક સ્‍થળોના માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્‍થળોના પ્રવેશદ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સીકયોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવા ફરમાવેલ છે.        
પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્‍શન કાઉન્‍ટર, લોબી, બેઝમેન્‍ટ, પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્‍યાઓ આવરી લે તેટલી સંખ્‍યામાં સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. આ કેમેરા સારી ગુણવત્‍તાવાળા વધુ રેન્‍જના(માણસોના ચહેરા સ્‍પષ્‍ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. તથા બિલ્‍ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે. કોઇ પણ જગ્‍યાની અંદરના ભાગનું સંપૂર્ણ કવરેજ સતત થાય, પ્રવેશતા અને બહાર નીકળતા તમામ માણસોની અવર-જવર તથા ચહેરા સ્‍પષ્‍ટ જોઇ શકાય, તમામ પાર્કીગની જગ્‍યાનું સંપૂર્ણ કવરેજ થાય, તથા રીસેપ્‍શન કાઉન્‍ટર, બેઝમેન્‍ટ, અને જાહેર પ્રજા માટેના પ્રવેશની તમામ જગ્‍યાઓનું સૂપૂર્ણ કવરેજ થાય, તે રીતે આ કેમેરા ગોઠવવાના રહેશે. આ સી.સી. ટી.વી.ના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સાચવવાના રહેશે. આ કેમેરા સતત ૨૪ કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓની રહેશે. સી.સી. ટી.વી.કેમેરાની અને સિકયોરિટી ગાર્ડની વ્‍યવસ્‍થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિધ્‍ધિથી દિન-૭માં કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ  ઉપરોકત વ્‍યવસ્‍થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે

(7:55 pm IST)