ભયાનક રૂપ લઇ રહી છે કોરોનાની ત્રીજી લહેર : તજજ્ઞની ચેતવણી
યુનિવર્સિટી ઓફ હૈદરાબાદના પૂર્વ પ્રો-વાઈસ ચાન્સેલર અને એમિનન્ટ ફિઝિસીસ્ટ ડો. વિપિન શ્રીવાસ્તવે જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરની પેટર્નમાં ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે
હૈદરાબાદ,તા.૧૦: યુનિવર્સિટી ઓફ હૈદરાબાદના પૂર્વ પ્રો-વાઈસ ચાન્સેલર અને એમિનન્ટ ફિઝિસીસ્ટ ડો. વિપિન શ્રીવાસ્તવે ચેતવણી આપી છે કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેરની પેટર્નમાં ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ડો. શ્રીવાસ્તવે જ ગત ૪ જુલાઈએ કોરોનાની ત્રીજી લહેર શરૂ થવાની આગાહી કરી હતી.
ડો. વિપિને ડેઈલી ડેથ લોડ (ડીડીએલ)ના આધારે બનાવેલો કોવિડ-૧૯ ગ્રાફ ૪ જુલાઈ પછી પણ આગળ વધી રહ્યો હોવા ઉપરાંત છેલ્લા કેટલાક સપ્તાહમાં ખરાબ સ્થિતિ ઊભી થઈ હોવાનું દર્શાવી રહ્યો છે. ડીડીએલ પોઝિટિવ વેલ્યુઝ તરફ વધુ શિફ્ટ થઈ રહ્યો છે, જે ઈચ્છનીય નથી. ૨૪ જુલાઈથી ૭ ઓગસ્ટ સુધીના ૧૫ દિવસના સમયગાળામાં તે ૧૦ પ્રસંગોએ અને છેલ્લા ૧૦ દિવસમાં ૭ વખત પોઝિટિવ હતો. એનો અર્થ છે કે, ત્રીજી લહેર ખરાબ પરિસ્થિતિ તરફ વળાંક લઈ રહી છે.
દેશમાં સીરોપોઝિટિવિટી બે તૃતિયાંશ વસ્તીમાં હોવા છતાં ડો. વિપિને હર્ડ ઈમ્યુનિટી ડેવલોપ થયાની વાત નકારી દીધી. તેમણે કહ્યું કે, ‘૪ જુલાઈથી ડીડીએલમાં જોવા મળેલો મોટો ઉતાર-ચડાવ ચિંતાનો વિષય છે. આવું ત્યારે જોવા મળ્યું કે જયારે રોજના મોતના આંકડા વધી કે ઘટી રહ્યા છે. જોકે, ડીડીએલમાં જોવા મળી રહેલો મોટો ઉતાર-ચડાવ પહેલા કરતા વધુ વિશાળ છે અને તે મહિના પછી પણ શાંત પડવાનો સંકેત નથી આપી રહ્યો.'
ડો. વિપિને તેનું કારણ સત્તાવાર ડેટામાં થોડા અંશે સ્પષ્ટતા ન હોવાને જણાવ્યું. તેમણે કહ્યું કે, કોરોનાની પહેલી લહેર વખતે મોતના આંકડામાં કેટલીક વખત ફેરફાર કરાયો હતો, જયારે બીજી લહેરમાં આ આંકડામાં ફેરફાર કરવાનું વધ્યુ. જેના કારણે સ્પષ્ટ રીતે બીજી લહેરમાં કોરોનાથી રોજના મોતના ગ્રાફમાં મોટો ઉતાર-ચડાવ જોવા મળ્યો.
તેમણે કહ્યું કે, જયારે ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસો લાખમાં નોંધાતા હતા, ત્યારે રિકવર કેસો પણ લાખમાં હતા. જયારે નવા કેસો હજાર થયા ત્યારે રિકવર કેસો પણ હજાર થયા. પેશન્ટ લોડ (રિકવર થનારા દર્દીઓ સામે નવા એડમિટ થતા દર્દીઓ) તરીકે ઓળખાતો આ રેશિયો ૨.૨ની આસપાસ હતો અને આવું ત્યારે હતું કે જયારે ૯ માર્ચ, ૨૦૨૧થી ૬ મે, ૨૦૨૧ વચ્ચે બીજી લહેર દરમિયાન ૨૪ કલાકમાં મોતનો આંકડો સતત વધી રહ્યો હતો.
ડો. વિપિને કહ્યું કે, ‘અમારા પરિણામો દર્શાવે છે કે, કોરોનાની તીવ્રતા વધી રહી છે. ૨૪ કલાકમાં કોરોનાના નવા પોઝિટિવ કેસોની સંખ્યા રિકવર કેસો કરતા વધારે છે. જયારે કે મોતનો આંકડો ૫૦૦ની આસપાસ છે.'