ચેન્નઈના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ શકે મેંડૂસ વાવાઝોડું: તમિલનાડુમાં NDRFની 12 ટીમ તૈનાત
વાવાઝોડાને પગલે તમિલનાડુના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના
નવી દિલ્હી :બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવોઝડું મેંડૂસ 9મી ડિસેમ્બરની મધ્યરાત્રીએ ચેન્નાઈ નજીકના દરિયાકાંઠા પાસેથી પસાર થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે,આ વાવાઝોડાને પગલે તમિલનાડુના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ સરકારે કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને રાજ્ય દળના લગભગ 400 કર્મચારીઓની ટીમને 10 જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.
વાવાઝોડાને કારણે ચેન્નાઈ અને તેના આસપાસના જિલ્લાઓ, કુડ્ડલોર ઉપરાંત કાવેરી ડેલ્ટા ક્ષેત્રમાં આવેલા નાગપટ્ટિનમ અને તંજાવુરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વાવાઝોડાને પગલે શુક્રવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, મેંડૂસ વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર આગળ વધ્યું છે અને તે ચેન્નાઈથી લગભગ 480 કિમી પૂર્વ દક્ષિણપૂર્વમાં અને કરાઈકલથી 390 કિમી દૂર છે. ચેન્નઈ કોર્પોરેશને લોકોને બીચ પર ન જવા અને લોકોને ઝાડ નીચે કાર પાર્ક ન કરવાની સૂચના આપી છે.