અફઘાનિસ્તાનમાં કથિતરૂપે વ્યભિચાર કરનારા ત્રણ લોકોને જાહેરમાં કોરડા મરાયા : આરોપીઓને માર મારી શર્મસાર કરાયા !
ત્રણ આરોપીઓમાં બે મહિલાઓ અને એક પુરુષ : અગાઉ પણ વ્યાભિચાર અને ચોરી કરવા બદલ ત્રણ લોકોની કરાઈ હતી ધરપકડ
નવી દિલ્લી તા.08 : અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી સુન્ની તાલિબાન ફરીથી મજબૂત થયાની અટકળો વચ્ચે ઇરાનની ભૂમિકા મામલે સવાલ ઊભા થઈ રહ્યા છે. તાલિબાનના સદસ્યોએ અફઘાનિસ્તાનના દક્ષિણી ભાગમાં કથિતરૂપે વ્યભિચાર કરનારા ત્રણ લોકોને જાહેરમાં માર મારી તેમને શર્મસાર કર્યા હતા.
અફઘાનિસ્તાનના ઝાબુલ પ્રાંતના તાલિબાની અધિકારીએ જણાવ્યું કે ત્રણેય આરોપીઓને વ્યાભિચાર કરવા બદલ બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ પહેલા તાલિબાને ત્રણેય આરોપીઓની વ્યાભિચાર કરવાના આરોપ હેઠળ ધરપકડ કરી હતી.
આ કોઈ પહેલી ઘટના નથી. તાલિબાન દક્ષિણી પ્રાંત કંધારમાં વ્યાભિચાર અને ચોરીના આરોપીઓને કોરડા મારી ચૂક્યા છે. લગભગ એક મહિના પહેલા આવી જ એક ઘટના કંધાર પ્રાંતમાં બની હતી. ત્યાં કથિત રીતે વ્યભિચાર અને ચોરી કરવા બદલ ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. અફઘાની કાનૂની વિદ્વાને જાહેર ફાંસીની સજા અને જાહેરમાં કોરડા મારવા અંગે જણાવ્યું હતું કે આ ઘટનાઓ અફઘાનિસ્તાનની ન્યાય વ્યવસ્થામાં તાલિબાનના કહેવાતા સુધારાના કારણે અનિવાર્ય છે.
સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશને જુલાઈમાં તાલિબાનના શાસનના 10 મહિના બાદ તાજેતરની રિપોર્ટ જારી કરી છે, જેમાં નાગરિકોની સુરક્ષા, હત્યા, અત્યાચારો સહિતની બાબતો પર રિપોર્ટ જારી કરવામાં આવી છે.