હવે મુંબઈથી શિરડી અને સોલાપુર સુધી દોડશે વંદે ભારત :મહારાષ્ટ્રને એક સાથે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ
વડા પ્રધાન મોદી શુક્રવારે મુંબઈથી બંને વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે
મહારાષ્ટ્રને એક સાથે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈથી બંને વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. જો તમે મુંબઈથી શિરડી અથવા મહારાષ્ટ્રના સોલાપુર જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો ટ્રેનની મુસાફરી તમારા માટે વધુ સારી રહેશે, કારણ કે મુંબઈથી શિરડી અને મુંબઈથી સોલાપુર જવાનું હવે ખૂબ જ સરળ અને સુવિધાજનક બનશે.
મુંબઈથી સાંઈ શિરડી ટ્રેન નંબર 22223 વંદે ભારત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલથી સવારે 6.20 વાગ્યે ઉપડશે અને દાદર, થાણે, નાશિક રોડ થઈને 11.40 વાગ્યે સાંઈ શિરડી પહોંચશે. જ્યારે વંદે ભારત ટ્રેન નંબર 22224 સાંઈ શિરડીથી સાંજે 5.25 વાગ્યે ઉપડશે અને રાત્રે 10.50 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે. એટલે કે મુંબઈથી સાંઈ શિરડી પહોંચવામાં 5 કલાક 20 મિનિટનો સમય લાગશે અને આ ટ્રેન માત્ર 3 સ્ટેશન પર જ ઉભી રહેશે. મુંબઈથી સોલાપુર વચ્ચે પણ વંદે ભારત ગતિ કરશે. જેમાં મુંબઈથી વંદે ભારત ટ્રેન નંબર 22225 સાંજે 4.50 વાગ્યે મુંબઈ છત્રપતિ શિવજી મહારાજ ટર્મિનલથી ઉપડશે અને દાદર, કલ્યાણ, પુણે, કુર્દુવાડી થઈને રાત્રે 10.40 વાગ્યે સોલાપુર પહોંચશે. જ્યારે, વંદે ભારત ટ્રેન નંબર 22226 સોલાપુરથી સવારે 6:05 વાગ્યે ઉપડશે અને મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ બપોરે 12:35 વાગ્યે પહોંચશે.