દુર્ગ જિલ્લામાં એક સાથે પાંચ મૃતદેહો મળી આવતા અરેરાટી
આર્થીક તંગી અને પૈસાની લેતી દેતી કારણરૂપ હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
દુર્ગ તા. ૮ : છતીસગઢના દુર્ગ જિલ્લામાં ત્રણ મહીલા સહીત એક જ પરિવારના પ લોકોએ આત્મહત્યા કરી લીધાના બનાવે ભારે અરેરાટી સર્જી છે. પોલીસે કરેલ તપાસમાં પિતા-પુત્રના દેહ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં અને ત્રણ મહિલાઓના દેહ સળગેલી અવસ્થામાં મળી આવ્યા હતા. સાથે એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેના આધારે આ સમગ્ર ઘટના આત્મહત્યાની હોવાનું તારણ નિકળ્યુ હતુ. શનિવારે મોડી રાત્રીની આ ઘટનમાં મૃતકોની ઓળખ થતા રામ વ્રજ ગાયકવાડ (ઉ.વ.૫૨), તેમની પત્નિ જાનકી બાઇ (ઉ.વ.૪૭), દિકરી દુર્ગા (ઉ.વ.૨૮), પુત્ર સંજુ (ઉ.વ.૨૪) બીજી દિકરી જયોતિ (ઉ.વ.૨૧) હોવાનું જણવા મળ્યુ હતુ. ઘટનાસ્થળે મળી આવેલ સ્યુસાઇડ નોટમાં આર્થીક તંગી અને પૈસાની લેતી દેતીના કારણે આ પગલુ ભર્યાનું જણાવાયુ છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ પિતા પુત્રએ પહેલા ત્રણેય મહીલાઓને સળગાવી દીધા બાદ પોતે પણ ફાંસો ખાઇ લીધો હોવાનું તારણ લગાવાયુ છે. આગળની તપાસ હાથ ધરાઇ છે.