વડાપ્રધાન મોદીએ લાલુપ્રસાદ યાદવના ખબર અંતર પૂછવા કર્યો ફોન
RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનું સોમવારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું
નવી દિલ્હી,તા. ૭ : RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ નું સોમવારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સિંગાપોરમાં તેમનું સફળ ઓપરેશન થયું હતું. લાલુ યાદવની બીજી પુત્રી રોહિણી આચાર્યની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. તેને લઈને અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ લાલુ પ્રસાદ યાદવની ખબર પૂછી રહ્યા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેજસ્વી પાસેથી લાલુ પ્રસાદના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.
જૂન મહિનાની શરૂઆતમાં જયારે લાલુ પ્રસાદ યાદવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પીએમ મોદીએ તેજસ્વી યાદવને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન લાલુ યાદવ લપસીને પટનાના રાબડી નિવાસસ્થાને સીડી પરથી નીચે પડી ગયા હતા, જેના કારણે તેમની કમર અને ખભામાં ઊંડી ઈજા થઈ હતી. તે જ સમયે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે ફોન કરીને આરજેડી સુપ્રીમોના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું. લાલુ યાદવની તબિયત અંગે સીએમ નીતિશે કહ્યું કે બધુ બરાબર છે. તેણે કહ્યું કે ખુશીની વાત છે, બધુ બરાબર ચાલ્યુ, અત્યારે બધુ બરાબર છે.
તે જ સમયે પિતા લાલુ યાદવને કિડની આપ્યા બાદ લોકો રોહિણી આચાર્યના જોરદાર વખાણ કરી રહ્યા છે. પાર્ટી અને વિપક્ષના નેતાઓ રોહિણીના પિતા પ્રત્યેના પ્રેમ અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બાદ બીજેપી નેતા અને ગોડ્ડા સાંસદ નિશિકાંત દુબેએ પણ રોહિણીના વખાણ કર્યા છે.
નિશિકાંત દુબેએ કહ્યું, ‘ભગવાને મને દીકરી નથી આપી, આજે રોહિણી આચાર્યને જોઈને મને ખરેખર ભગવાન સાથે લડવાનું મન થાય છે, મારી દાદી હંમેશા કહેતી હતી, બેટા સે ભલી બેટી જો કુલવંતી હો.' આ પહેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રોહિણીના વખાણ કરતા લખ્યું હતું કે, ‘જો તમારી પાસે દીકરી હોય તો રોહિણી આચાર્ય જેવી. તમારા પર ગર્વ છે. તમે આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ બનશો.'