ચીન સરહદે તણાવ પર રાહુલ ગાંધીએ કહ્યું - અમારી સરકાર હોત તો ચીનને ઉપાડીને બહાર ફેંકી દીધું હોત
ચાઇનામાં એટલી તાકાત ન હતી કે તે આપણા દેશમાં પગ મુકે
કુરૂક્ષેત્રઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ વિવાદ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ હરિયાણામાં કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી પોતાને દેશભક્ત કહે છે અને દેશ જાણે છે કે ચાઇનાની સેના હિન્દુસ્તાનની અંદર છે. આ કેવા દેશભક્ત છે? હું તમને જણાવી રહ્યો છું કે અમારી સરકાર હોત તો ઉઠાવીને ફેંકી દેત ચાઇનાને બહાર, 15 મિનિટ ન લાગે.
હરિયાણાના કુરૂક્ષેત્રમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે, જ્યારે અમારી સરકાર હતી હું તમને ગેરંટી આપુ છું કે, ચાઇનામાં એટલી તાકાત ન હતી કે તે આપણા દેશમાં પગ મુકે. આજે વિશ્વમાં એક દેશ છે જેની અંદર બીજા દેશની સેના આવી અને કાયર પ્રધાનમંત્રી કહે છે કે આ દેશની જમીન કોઈએ લીધી નથી.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, ચીનમાં આટલી તાકાત ક્યાંથી આવી (સરહદમાં ઘુષણખોરીની) હું તમને જણાવુ છું. ચાઇના બહારથી જોઈ રહ્યું છે. તેને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદીએ દેશને નબળો કર્યો છે. કોરોનાના સમયમાં ભારતના પીએમ ફેલ થઈ ગયા છે. દેશનો કિસાન અને મજૂર નબળો પડી ગયો છે. ખેતી બચાવો યાત્રા દરમિયાન કુરૂક્ષેત્રમાં રાહુલે ગીતા સ્થલી પર પ્રાર્થના પણ કરી હતી.