મુખ્ય સમાચાર
News of Friday, 7th August 2020

સુશાંતની આત્મહત્યા પછી રિયા ચક્રવર્તી બાંદ્રા પોલીસના સંપર્કમાં હતી

રિયા ચક્રવર્તી એ ડીસીપીને કરેલા કોલ્સની ડિટેઈલ મેળવાઈ : બાંદ્રાના ડીસીપી અભિષેક ત્રિમુખે અને રિયા ચક્રવર્તી વચ્ચે ચાર વખત વાત થઈ હતી : રિયાની મુશ્કેલી વધશે

મુંબઈ, તા. ૭ : એક્ટર સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં જેમજેમ તપાસ આગળ વધી રહી છે તેમતેમ ફિલ્મી સસ્પેન્સ સામે આવી રહ્યાં છે. આ સાથે જ સુશાંતની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી રહી છે. એટલું જ નહીં. સીબીઆઈને તપાસ સોંપાઈ તે પછી મુંબઈ પોલીસ સામે પણ કેટલાક સવાલો થઈ રહ્યા છે. રિયા ચક્રવર્તીના કોલ ડિટેલ્સ પણ સામે આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે તે રિયા સુશાંતની આત્મહત્યા પછી લગાતાર બાંદ્રાના ડીસીપીના સંપર્કમાં હતી અને તેણે ડીસીપીને કેટલીય વાર કોલ્સ કર્યા હતા. કોલ ડિટેલ્સથી ખબર પડે છે.

          તે બાંદ્રાના ડીસીપી અભિષેક ત્રિમુખે અને રિયા ચક્રવર્તી વચ્ચે ચાર વાર વાત થઈ હતી. રિયાએ ૨૧મી જૂને બાંદ્રાના ડીસીપીની સાથે ફોન પર ૨૮ સેકન્ડ સુધી વાત કરી હતી. ૨૨મી જૂને ડીસીપીએ રિયાને મેસેજ કર્યો હતો. એ તારીખે બંને વચ્ચે ૨૯ સેકન્ડ વાત થઈ હતી. આઠ દિવસ પછી ફરી પાછા ડીસીપીએ રિયાને ફોન કર્યો હતો. એ વખતે બંને વચ્ચે ૬૬ સેકન્ડ સુધી વાત ચાલી હતી. એ પછી તેમણે ઘણાં દિવસ વાત કરી નહોતી. તે પછી ૧૮મી જુલાઈએ રિયાને ફરીથી ડીસીપીએ ફોન કર્યો હતો.જ્યારે આ વાતચીત ચાલતી હતી ત્યારે તપાસ મુંબઈ પોલીસની પાસે હતી. આ મામલામાં સીબીઆઈએ ઘણાં લોકોની તપાસ શરૂ કરી છે.

(9:34 pm IST)