કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા સોનિયા ગાંધી
કેરળ થઇ કર્ણાટક પહોંચી કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા
મૈસુર,તા. ૬ : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની ભારત જોડો યાત્રામાં એન્ટ્રી થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ‘ભારત જોડો યાત્રા'પર છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં ૭ સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા હવે કેરળ થઈને કર્ણાટક પહોંચી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આજે ભારત જોડો યાત્રામાં જોડાશે. તે કર્ણાટકના મૈસુર શહેરમાં પહોંચી ગયા છે. સોનિયા ગાંધી આજે રાહુલ ગાંધી સાથે થોડો સમય પગપાળા ચાલશે.
આ યાત્રા ૨૧ દિવસ સુધી કર્ણાટકમાંથી પસાર થશે. આ દરમિયાન તે રાજયમાં ૫૧૧ કિલોમીટરનું અંતર કાપશે. કર્ણાટકમાં, આ યાત્રા ચામરાજનગર, મૈસુર, માંડ્યા, તુમકુરુ, ચિત્રદુર્ગ, બેલ્લારી અને રાયચુર જિલ્લામાંથી પણ પસાર થશે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પહેલીવાર ભાજપ શાસિત રાજયના માંડ્યા જિલ્લામાંથી ભારત જોડો યાત્રામાં જોડાઈ ચુક્યા છે. સોનિયા ગાંધી ઉપરાંત પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, જેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદના ટોચના દાવેદારોમાંના એક છે. તેઓ પણ આજે આ પદયાત્રામાં જોડાઈ ચૂક્યા છે.
સોનિયા ગાંધીએ લાંબા સમયથી પાર્ટીના કોઈપણ જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો નથી. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પાંચ મહિનાની ભારત જોડો યાત્રાના ૨૬માં દિવસે તે તેમાં જોડાવા જઈ રહી છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી ૭ ઓક્ટોબરે પદયાત્રામાં જોડાય તેવી શક્યતા છે. ગયા મહિને કન્યાકુમારીથી યાત્રા શરૂ કરનાર રાહુલ ગાંધી સતત પગપાળા ચાલી રહ્યા છે. આ યાત્રા ૩૦ સપ્ટેમ્બરે કર્ણાટકના ગુંડલુપેટથી કેરળ થઈને રાજયમાં શરૂ થઈ છે.
કર્ણાટકમાં પ્રવેશ સાથે આ યાત્રા નિર્ણાયક તબક્કામાં પ્રવેશી છે. રાજયમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલીવાર છે જયારે આ યાત્રા ભાજપ શાસિત રાજયમાંથી પસાર થઈ રહી છે. અગાઉ આ યાત્રા તમિલનાડુ અને કેરળ થઈને ગઈ હતી, જયાં ભાજપની સરકાર નથી. નોંધપાત્ર રીતે, કન્યાકુમારીથી શ્રીનગર સુધીની આ ૩,૫૭૦ કિલોમીટર લાંબી કૂચ પાંચ મહિનાના ગાળામાં ૧૨ રાજયો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેશે.