કુંભમેળા સંદર્ભે હરીદ્વારમાં કતલખાનાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશો
દહેરાદુન : કુંભ મેળાને લઇને ઉતરાખંડ સરકારે હરીદ્વાર જિલ્લાના તમામ કતલખાનાઓ બંધ કરાવવા નિર્ણય લીધો છે. શહેરી વિકાસ સચિવ શૈલેષ બગૌલીએ કરેલ આદેશો અનુસાર હરીદ્વારમાં ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી યોજનાર કુંભ મેળાના આયોજનને ધ્યાને લઇ હરીદ્વાર જિલ્લાના તમામ કતલખાના બંધ કરાવવા તાત્કાલીક અસરથી નિર્ણય લેવાયો છે. રાજયના પર્યટન મંત્રી અને હરીદ્વાર જીલ્લાના પ્રભારી સતપાલ મહારાજે જણાવેલ કે તેમણે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને હરીદ્વારના કતલખાનાઓ બંધ કરાવવા વિનંતી કરી હતી. જેનો સ્વીકાર થતા તાત્કાલીક અસરથી કતલખાનાઓ બંધ કરવા આદેશો થયા છે. હરીદ્વારના કતલખાનાઓ બંધ કરાવવા લાંબા સમયથી સ્થાનિક ભાજપ ધારાસભ્યો પણ માંગણી ઉઠાવી રહ્યા હતા. લકસર ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય સંજય ગુપ્તા અને હરીદ્વાર ગ્રામીણના ધારાસભ્ય સ્વામિ યતિશ્વરાનંદે તો આ મુદ્દે પોતાની જ સરકાર સામે ઘેરાવ કર્યો હતો. લાંબા સમયથી કતલખાનાઓ બંધ કરાવવાની ઉઠી રહેલ માંગણી અંતે સંતોષાઇ છે.