મુખ્ય સમાચાર
News of Wednesday, 5th October 2022

દરરોજ 3 થી 4 લીટર પાણી પીઓ, સલાડ ખાઓ અને ભોજન બાદ 15 મિનીટ ચાલવાથી વજનમાં ઘટાડો થાય

ખોટી જીવનશૈલીમાં સુધારો ન કરીએ તો શરીર નબળુ પડશે અને રોગનું જોખમ વધશે

નવી દિલ્‍હીઃ ડાયેટીંગ કરવા છતાં વજન ઓછુ ન થતુ હોય તો ઘરેલુ નુસ્‍ખા અપનાવવાથી વજન ઓછુ કરી શકાય છે. વજન ઘટાડવા માટે રોજ 10થી 12 ગ્‍લાસ પાણી પીવુ, કાચુ સલાડ ખાવુ, ભોજન કર્યા બાદ વોકીંગ કરવુ, જંક ફૂડ ન ખાવા, ભુખ કરતા વધુ ભોજન ન લેવેુ, રોજ સવારે નાસ્‍તો કરવો, ગળપણવાળી વસ્‍તુ ન ખાવી અને નિયમીત વ્‍યાયામ કરવાથી વજન ઘટી શકે છે.

વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકેકે તમારી જીવનશૈલી ખોટી છે. ખોટી જીવનશૈલીના કારણે તમે ગમે તેટલા પ્રયત્નો કરો છતાં વજન ઓછું નહીં થાય. જો વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. અહીં તમને જણાવીએ વજન ઉતારવાની સરળ ટિપ્સ. જીવનશૈલીમાં કરો થોડા સુધારા...

1. રોજ 3-4 લીટર પાણી પીઓ

વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી (3-4 લીટર) પીવાનો નિયમ લો. આટલું પાણી પીવો તો શરીરનું મેટાબોલિઝમ સારું થાય છે અને ખાવાનું સારી રીતે પચે છે. આ ઉપરાંત આટલું પાણી પીવાથી વારંવાર ખાવાની આદત પણ જતી રહે છે કારણ કે પાણીના કારણે પેટ ભારે હોવાનો અહેસાસ થાય છે. એટલું ધ્યાન આપો કે ભોજન કર્યા બાદ ઓછામાં ઓછા એક કલાક પછી પાણી પીઓ.

2. સલાડ ખાઓ

રોજ જ્યારે પણ ભોજન કરો તો પૂરતા પ્રમાણમાં સલાડ પણ  ખાઓ. જો તમને ભૂલ લાગે તો સ્નેક્સની જગ્યાએ સલાડ જેમ કે ગાજર, કાકડી, ચણા વગેરેનું સેવન કરો. ચણા ખાવાથી શરીરને પ્રોટીન મળે છે.

3. ભોજન કર્યા બાદ 15 મિનિટ ટહેલવાની આદત રાખો

બપોરનું ભોજન હોય કે રાતનું પણ ખાધા બાદ 15 મિનિટ જરૂર ચાલો. ઘર કે ઓફિસની આસપાસ કોઈ પાર્ક હોય તો ત્યાં જાઓ નહીં તો કોઈ પણ જગ્યાએ જઈને ચાલો. ભોજન કર્યા બાદ તરત સૂવાનું, કે બેસીને કામ કરતા રહેવાથી વજન વધે છે, પેટ બહાર આવે છે. જો તમે વધુ કેલેરીવાળુ ભોજન કર્યું હોય તો ખાધા બાદ ટહેલવાથી તે બળશે અને લાભ થશે.

4. જંક ફૂડ ન ખાઓ

જો તમે ખરેખર વજન ઉતારવા માંગતા જ હોવ તો તમારે જંકફૂડ અને બહારના ખાવાનાથી બચવું પડશે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં બહારના ભોજનનું સેવન કર્યા કરે છે. આ સાથે જ ચોકલેટ, કેક, ટોફી અને આઈસ્ક્રિમનું સેવન પણ ન કરો.

5. ઓવરઈટિંગથી વધે છે વજન

ઓવર ઈટિંગ એટલે કે ભૂખ કરતા વધુ ભોજન કરવાથી પણ વજન વધે છે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં એ ભૂલી જાય છે કે વધુ ખાવાથી વજન વધે છે. ખાવાના ટેબલ પર બેઠા પછી એટલું યાદ રાખો કે જેટલી ભૂખ હોય તેટલું જ ખાઓ.

6. દરરોજ નાસ્તો કરો

જો તમે ઓફિસ કે કોલેજ જલદી પહોંચવાના ચક્કરમાં નાશ્તો નથી કરતા તો તે તમારા માટે જોખમી બની શકે છે. નાશ્તો ન કરવાથી મોટાપાની સમસ્યા ઊભી થતી હોય છે. બ્રેકફાસ્ટ ન કરનારા લોકો ભૂખ લાગતા લંચ  પહેલા સ્નેક્સનું સેવન કરી લે છે, જે વજન વધારે છે.

7. ભોજન કર્યા બાદ તરત ક્યારેય ન સૂવું

કેટલાક લોકોને આદત હોય છે કે ભોજન કર્યા બાદ તરત સૂવા ભેગા થાય છે. આમ જરાય ન કરવું જોઈએ. રાતે સૂવાના લગભગ દોઢ બે કલાક પહેલા ભોજન કરો અને ટહેલવાનું ન ભૂલો

8. સવારે ઊઠીને હૂંફાળું પાણી પીવો

સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને મેટાબોલિઝમ સારું થાય છે. સવારે હૂંફાળું પાણી પીવાથી પાચનક્રિયા પણ સારી થાય છે.

9. ગળી વસ્તુઓ ઓછી ખાઓ

મીઠાઈનું સેવન કરવાથી ચરબી વધે છે. જો તમે મીઠાઈના શોખીન હોવ તો કોશિશ કરો કે ઓછામાં ઓછી મીઠાઈ ખાઓ. આ સાથે મીઠું પણ ઓછું ખાઓ.

10. રોજેરોજ થોડી એક્સસાઈઝ જરૂર કરો

વજન ઓછુ કરવા અને બોડીને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ ખુબ ફાયદાકારક સાબિત થશે. એક્સસાઈઝથી તમારા સ્નાયુઓ પર ભાર આવે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે. સપ્તાહમાં એવી કોશિશ કરો કે 150 મિનિટ એટલે કે અઢી કલાક વ્યાયામ કરો. શરૂઆતમાં એક્સાઈઝ કરી શકો છો. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે તેને વધારો. એક્સસાઈઝ શરૂ કરતા પહેલા વોર્મઅપ કરો. વોર્મઅપ કરવાથી શરીર મોકળું થાય છે.

(5:08 pm IST)