અદાણીએ એક દિવસમાં ૭૮,૮૯૮ કરોડ રૂપિયા ગુમાવ્યાઃ આટલામાં પાંચ મહિના સુધી ૮૦ કરોડ ગરીબોનું પેટ ભરી શકયું હોત
ગૌતમ અદાણીની નેટવર્થ $9.67 બિલિયન ઘટી છે
નવી દિલ્હી, તા.૪: અદાણી ગ્રુપના શેરમાં સોમવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ચાર કંપનીઓના શેર નીચી મર્યાદાને સ્પર્શી ગયા હતા. આ કારણે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં $9.67 બિલિયન એટલે કે લગભગ રૂ. ૭૮,૮૯૮ કરોડનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, અદાણીની નેટવર્થ હવે $120 બિલિયન છે. તાજેતરમાં, તે ૧૫૦ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં બીજા સ્થાને હતા. પરંતુ હવે તે ચોથા નંબરે સરકી ગય છે. આ વર્ષે તેની નેટવર્થમાં $42.9 બિલિયનનો વધારો થયો છે. એશિયાના અમીરોની યાદીમાં તે નંબર વન પર યથાવત છે.
સોમવારે અદાણી ગ્રૂપની ચાર કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર અને અદાણી વિલ્મર લોઅર સર્કિટને સ્પર્શ્યા હતા. જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ ૮.૫૧ ટકા ઘટીને બંધ થઈ હતી. અદાણી ટ્રાન્સમિશન ૫.૧૭ ટકા, અદાણી ટોટલ ગેસ ૬.૯૬ ટકા, અદાણી ગ્રીન એનર્જી ૮.૦૯ ટકા, અદાણી પોર્ટ્સ ૪.૩૪ ટકા, અદાણી પાવર ૪.૯૯ ટકા અને અદાણી વિલ્મર ૪.૯૯ ટકા ઘટ્યા હતા.
શેરમાં તીવ્ર ઘટાડાને કારણે અંબાણીની નેટવર્થમાં લગભગ રૂ.૭૮,૮૯૮ કરોડનો ઘટાડો થયો હતો. આ રકમથી દેશના ૮૦ કરોડ ગરીબોને પાંચ મહિનાનું પેટ ભરી શકાશે. સરકારે બુધવારે ગરીબોને મફત અનાજ આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો સમયગાળો ત્રણ મહિના સુધી વધાર્યો છે. ૪૪,૭૦૦ કરોડનો ખર્ચ થશે. એટલે કે દર મહિને લગભગ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ યોજના હેઠળ ૮૦ કરોડ ગરીબોને દર મહિને ૫ કિલો ઘઉં અને ચોખા આપવામાં આવે છે. આ યોજના શુક્રવાર ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી. તેને ત્રણ મહિના એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવ્યો છે.
દરમિયાન, દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ સોમવારે ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અંબાણીની કુલ સંપત્તિમાં $821 મિલિયનનો ઘટાડો થયો છે અને તેઓ વિશ્વના અમીરોની યાદીમાં દસમા ક્રમે યથાવત છે. તેમની કુલ સંપત્તિ $81.9 બિલિયન છે. સોમવારે રિલાયન્સના શેરમાં ૦.૧૪ ટકાનો ઘટાડો થયો હતો. આ વર્ષે અંબાણીની કુલ સંપત્તિમાં ઼૮.૧૨ બિલિયનનો ઘટાડો થયો છે. એક સમયે અંબાણી વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબરે પહોંચી ગયા હતા.