નિવૃત્ત જજ અઝમત સઇદ બનશે પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન
સંસદ ભંગ મામલે સુપ્રીમમાં સુનાવણી શરૂ
ઇસ્લામાબાદ તા. ૪ : પાકિસ્તાનમાં રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ છે. રવિવારે સંસદ ભંગ કરવામાં આવી હતી. આ પછી હવે એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે નિવૃત્ત જજ અઝમત સઈદને પાકિસ્તાનના કાર્યવાહકᅠવડા પ્રધાન બનાવવામાં આવી શકે છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ રખેવાળ વડાપ્રધાન માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અઝમત સઈદના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. તે જ સમયે, પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવ અને સંસદ ભંગ કરવાના મામલામાં સોમવારે એક વાગ્યાથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. પાકિસ્તાની મીડિયા અનુસાર, સુનાવણી દરમિયાન એટર્ની જનરલ સ્પીકર વતી હાજર થશે.
પાકિસ્તાનમાં સંસદ ભંગ કરી દેવામાં આવી છે. હવે કાયમી વડાપ્રધાનની પસંદગી ચૂંટણી બાદ જ થશે. જો કે, ઇમરાન ખાન જયાં સુધી કેરટેકર પીએમ ન બને ત્યાં સુધી વડાપ્રધાન પદ પર રહેશે. આ અંગે રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી આદેશ જારી કરવામાં આવ્યો છે.
સંસદ ભંગ કરતી વખતે સંયુક્ત વિપક્ષ તરફથી માંગ કરવામાં આવી છે કે આ મામલાની સુનાવણી પૂર્ણ બેંચ દ્વારા કરવામાં આવે. વિપક્ષનું કહેવું છે કે તેઓને આશા છે કે કોર્ટ સંવિધાનનું પાલન કરશે.