મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

કુલ ૫૦૦ મિલિયન ડોલરની ડિફેન્સ ડિલને ભારતે રદ કરી

ઇઝરાયેલી શસ્ત્ર કંપની દ્વારા જાહેરાત કરાઈ : વડાપ્રધાન નેતાન્યાહૂની ઐતિહાસિક ભારત યાત્રા પહેલા જ સમજૂતિ રદ : નેતાન્યાહૂની સાથે વિસ્તૃત ચર્ચા કરાશે

નવીદિલ્હી,તા. ૩ : ઇઝરાયેલની ટોચની શસ્ત્ર કંપનીએ ભારપૂર્વક કહ્યું છે કે, ભારતે સ્પાઇક એન્ટી ટેંક ગાઈડેડ મિસાઇલો બનાવવા સાથે સંબંધિત ૫૦૦ મિલિયન ડોલરની સમજૂતિને રદ કરી દીધી છે. આ કંપનીએ નિર્ણયને લઇને દુઃખ વ્યક્ત કર્યું છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ભારતની મુલાકાતે જઇ રહ્યા છે ત્યારે આ સમજૂતિ રદ્દ કરવામાં આવી છે. ભારતે ૫૦૦ મિલિયન ડોલરની ડિફેન્સ ડિલ રદ્દ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ માટેના પ્રવક્તા ઇસાઇ ડેવિડે માહિતી આપતા કહ્યું છે કે, ભારતના સંરક્ષણ મંત્રાલય તરફથી રાફેલને સત્તાવાર નિવેદન મળી ગયું છે જેમાં સ્પાઇક ડિલને રદ કરવાની વાત કરવામાં આવી છે. વિશ્વભરમાં ૨૬ દેશો દ્વારા ઉપયોગ કરવામાં આવતી સ્પાઇક એન્ટી ટેંક ગાઈડેડ મિસાઇલની ભારત દ્વારા પસંદગી કરવામાં આવી હતી. સંરક્ષણ સમજૂતિ હેઠળ આની પસંદગી કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવે તે પહેલા આ સમજૂતિ રદ કરાઈ છે. તમામ માંગણીઓ રાફેલ દ્વારા સ્વિકારવામાં આવી હોવા છતાં સમજૂતિ રદ કરાઈ છે. જો કે, રાફેલે કહ્યું છે કે, ભારતમાં કામ ચાલુ રાખવા માટેની તેમની વ્યૂહરચના પર તે આગળ વધશે. ભારતીય સંરક્ષણ મંત્રાલય સાથે સહકાર કરવા કટિબદ્ધ છે. કારણ કે ભારત એક મહત્વપૂર્ણ માર્કેટ તરીકે છે.

ભારતને અતિઆધુનિક અને ઇનોવેટિવ સિસ્ટમ આપવા માટે ઇઝરાયેલ કટિબદ્ધ છે. આ સમજૂતિને રદ કરવાના સંદર્ભમાં કંપની દ્વારા કોઇ કારણ આપવામાં આવ્યું નથી. નેતાન્યાહૂની ચાર દિવસની ઐતિહાસિક ભારત યાત્રા ૧૪મી જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે. આ યાત્રા દરમિયાન મુદ્દા પર ચર્ચા થશે. રાફેલના સીઈઓ પણ નેતાન્યાહૂ સાથે ભારત પહોંચનાર છે. અન્ય મુદ્દાઓ પણ છવાઈ જશે.

(7:38 pm IST)