મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

મહારાષ્ટ્ર બંધ : હિંસક વિરોધ પ્રદર્શન બાદ બંધ પરત લેવાયું

માર્ગો પર સન્નાટો, સ્કુલ, કોલેજો બંધ, જનજીવન પર અસર : અનેક જગ્યાઓ ઉપર બંધ દરમિયાન ટ્રેનો રોકવામાં આવી : થાણેમાં કલમ ૧૪૪ ચોથી જાન્યુઆરી સુધી અમલી રહેશે : જનજીવન ફરી સામાન્ય બન્યું

પુણે, તા.૩ : પુણેના કોરેગાંવ ભીમા વિસ્તારમાં ભડકી ઉઠેલી જાતિય હિંસાના વિરોધમાં આપવામાં આવેલા મહારાષ્ટ્ર બંધના એલાનને કલાકો સુધી અંધાધૂંધી સર્જ્યા બાદ પરત ખેંચી લેવામાં આવ્યા બાદ તંત્રને રાહત થઇ હતી. સામાજિક કાર્યકર અને બાબા સાહેબ બીઆર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે બંધને પરત લેવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી દિપક કેસરકરે કહ્યું હતું કે, દલિત સમાજથી કોઇનું મોત થયું નથી. સોશિયલ મિડિયા ઉપર અફવા ફેલાવવામાં આવી રહી છે. સ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહી છે. સોમવારના દિવસે પુણેના કોરેગાંવ ભીમા વિસ્તારમાં મરાઠા અને દલિતો વચ્ચે હિંસક અથડામણનો દોર શરૂ થયો હતો. ભીમા કોરેગાંવ યુદ્ધના શૌર્ય દિવસના આયોજનને લઇને હિંસામાં એકનું મોત થયા બાદ જાતિય હિંસાની આગ મુંબઈ સહિત મહારાષ્ટ્રના ૧૮ જિલ્લાઓમાં ફેલાઈ ગઈ હતી. સ્થિતિને ધ્યાનમાં લઇને થાણેમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, આજે સતત ત્રીજા દિવસે પણ બંધ દરમિયાન હિંસાનો દોર જારી રહ્યો હતો. પુણેમાં પથ્થરમારાના બનાવો બન્યા હતા. દુકાનોને બળજબરીપૂર્વક બંધ કરવામાં આવ્યા હતા. બસો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ સ્થિતિ મહારાષ્ટ્ર બંધ સાંજે પૂર્ણ થતાં તંત્રને રાહત થઇ હતી. જો કે, શરૂઆતી ગાળામાં હિંસાનો દોર ચાલ્યો હતો. બંધ બાદ સ્થિતિ સામાન્ય બન્યા પછી મુંબઈ તરફ જતા વાહન વ્યવહાર માટેના રસ્તા ખોલી દેવામાં આવ્યા હતા. સ્થિતિ સામાન્ય બની રહી છે. આંદોલનકારીઓ રસ્તા પરથી હટી ગયા છે. દેશની અનેક બસોમાં આજે પણ તોડફોડ કરવામાં આવી હતી. ડબ્બાવાલા એસોસિએશનના પ્રમુખ સુભાષ કાલેકરે કહ્યું હતું કે, પરિવહનના સાધનો પુરતા નહીં હોવાના કારણે ટિફિન સેવા બંધ રાખવામાં આવી છે. આજે પુણેના જાતિય હિંસાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધની હાકલ કરવામાં આવી હતી. ટ્રેનો રોકવામાં આવી હતી. થાણેમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આજે બંધના કારણે જનજીવન સંપૂર્ણ પણે ખોરવાઇ ગયુ હતુ. થાણે રેલવે સ્ટેશનમાં આંદોલનકારીઓએ ટ્રેન રોકીને દેખાવો કર્યા હતા. મહારાષ્ટ્ર બંધથી હમેંશા ભાગતા રહેતા મુંબઇની ગતિ પણ રોકાઇ ગઇ હતી અહીં  લોકપ્રિય ડબ્બાવાળા એસોસિએશને તેની સેવા આજે બંધ રાખી હતી. મહારાષ્ટ્રમાં થાણે ખાતે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. પુણેથી બારામતી અને સતારા વચ્ચે બસ સેવાને બંધ કરી દેવામાં આવી છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હાલમાં હિંસા અને વ્યાપક તોડફોડ તેમજ આગની ઘટનાઓ બનતા વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પુણેમાં બે સમુદાય વચ્ચે થયેલી જાતિય હિંસાની અસર મહારાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ગઇકાલે મુંબઈ ઉપરાંત હડપસર અને ફુડસુંગીમાં બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઔરંગાબાદ અને અહેમદનગર માટેની બસ સેવાને બંધ કરવામાં આવી હતી. નવા વર્ષના પ્રસંગે પુણેના કોરેગાંવ ભીમાગામમાં શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદથી બે સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. આ ગાળા દરમિાયન એક શખ્સનું મોત થઇ ગયું હતું. પુણેની જાતિય હિંસા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પ્રતિક્રિયા ગઇકાલે જ કહ્યુ હતુ કે  સરકારને બદનામ કરવાના હેતુસર આ કાવતરુ ઘડવામાં આવ્યું હતુ.  સરકારે આના માટે ન્યાયિક તપાસના આદેશ આપી દીધા છે. મુખ્યમંત્રી ફડનવીસે મૃતકના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી દીધી હતી.   પુણેની જાતિય હિંસાની આગ સોમવારના દિવસે મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી. આ ગાળા દરમિયાન મુંબઈમાં કુર્લા, મુલુંદ, ચેમ્બુર, થાણેમાં સરકારી બસો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રસ્તા રોકવામાં આવ્યા હતા. અનેક વિસ્તારોમાં હજુ પણ વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે, ઘટના પાછળ જવાબદાર લોકો કોણ છે તેમાં તપાસ થવી જોઇએ. શોર્ય દિવસના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થશે તેવી સંભાવના પહેલાથી જ રહેલી હતી જેથી વહીવટીતંત્રને સાવધાન રહેવાની જરૂર હતી. પહેલી જાન્યુઆરી ૧૮૧૮ના દિવસે અંગ્રેજો અને પેશ્વા બાજીરાવ દ્વિતીય વચ્ચે કોરેગાંવ ભીમામાં યુદ્ધ થયું હતું જેમાં પેશ્વાને અંગ્રેજોના હાથે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ફોજમાં મોટ સંખ્યામાં દલિત લોકો પણ હતો. આ ઘટનાના આ વખતે ૨૦૦ વર્ષ પુર્ણ થવાના પ્રસંગે કોરેગાંવ ભીમામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.  કાર્યક્રમની માહિતી મળ્યા બાદ બીજા સમુદાયના લોકો પહોંચ્યા હતા અને બે સમુદાય વચ્ચે હિંસાની શરૂઆત થઇ હતી. અનેક જગ્યાઓ ઉપર ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ફોજમાં મોટી સંખ્યામાં મહાર સમુદાયના લોકો હતા. હિંસા દરમિયાન ૨૫થી વધુ ગાડીઓને ફૂંકી મારવામાં આવી હતી. ૫૦થી વધુ ગાડીઓની તોડફોડ કરવામાં આવી હતી.  વિસ્ફોટક સ્થિતિ બાદ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે. મહારાષ્ટ્ર ડેમોક્રેટિટ ફ્રન્ટ, મહારાષ્ટ્ર ડાબેરી મોરચા ઉપરાંત ૨૫૦થી વધુ સંગઠનોએ બંધની હાંકલ કરી છે. જેને ધ્યાનમાં લઇને સાવચેતીના પગલા લેવાયા છે. હજુ સુધી ૧૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. દલિત સમાજ દ્વારા બંધની હાકલ કરવામાં આવી છે. હજુ સુધી કુલ ૧૩૪ બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. મુંબઈમાં દેખાવો કરાયા છે. ટ્રેનોને પણ રોકવામાં આવી છે. થાણેમાં ચોથી જાન્યુઆરી સુધી કલમ ૧૪૪ લાગુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(7:42 pm IST)