કોણ લખે છે PM મોદીનું પ્રવચન? કેટલી રકમનો ખર્ચ? PMOએ RTI હેઠળ દીધો જવાબ
શું ખુદ લખે છે કે પછી બીજા તૈયાર કરે છે? મળી ગયો જવાબ
નવી દિલ્હી, તા.૩: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી લગભગ દરરોજ કોઈના કોઈ મુદ્દે ભાષણ આપે છે. ક્યારેક રાજકીય રેલીઓ હોય છે તો ક્યારેક કોઈ લોકાર્પણ સમારંભ, તો ક્યારેક વિદ્યાર્થીઓને સંબોધન તો ક્યારેક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાષણ. આ તમામ કાર્યક્રમોમાં પીએમ મોદીનું ભાષણ સૌથી અલગ અને પ્રસંગોપાત હોય છે. જેથી સૌકોઈને જાણવાની મહેચ્છા થાય છે કે, આખરે પીએમ મોદીનું આ ભાષણ લખે છે કોણ?
આ સવાલનો જવાબ જાણવા એક વડાપ્રધાન કાર્યાલયમાં એક આરટીઆઈ કરવામાં આવી હતી. આ આરટીઆઈ અંતર્ગત એ લોકોના નામ અને નંબર જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે જુદા જુદા પ્રસંગે પીએમ મોદીનું ભાષણ તૈયાર કરે છે.
પ્રધાનમંત્રી મોદીના ભાષણને લઈને કરવામાં આવેલી આરટીઆઈમાં એ વાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, ભાષણને તૈયાર કરનારા લોકોને વળતર સ્વરૂપે કેટલા પૈસા આપવામાં આવે છે. આ આરટીઆઈનો જવાબ પણ મળી ગયો છે.
PMOમાંથી આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, જુદા જુદા માધ્યમોમાંથી ઈનપુટ એકત્ર કરવાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પોતે જ ભાષણોની રૂપરેખા તૈયાર કરે છે. PMOએ જણાવ્યું હતું કે, જુદા જુદા કાર્યક્રમો અનુસાર પ્રધાનમંત્રીને તેના ઈનપુટ પુરા પાડવામાં આવે છે. ત્યાર બાદ પીએમ પોતે જ પોતાના ભાષણને આખરી ઓપ આપે છે. જોકે પીએમનું ભાષણ તૈયાર કરવાના વળતર રૂપે કેટલા પૈસા આપવામાં આવે છે તેનો ઉલ્લેખ RTIના જવાબમાં કરવામાં આવ્યો નથી.