લીબિયામાં નાવ દુર્ઘટના, ૯૦ લોકોના મોતની આશંકા
નવી દિલ્હી તા. ૩ : લીબિયાના સમુદ્રમાં શુક્રવારે પ્રવાસીઓની એક નાવ પલટી જતા ૯૦થી વધુ લોકોના મોત થવાની આશંકા છે. આંતરરાષ્ટ્રીય સંગઠન આઈઓએમ અનુસાર લીબિયાના કિનારેથી ૧૦ મૃતદેહ મળી આવ્યા છે. જેમાંથી આઠ પાકિસ્તાની જયારે બે લીબિયાના નાગરિક છે. આ લોકો ગેરકાયદે રીતે લીબિયાના રસ્તે ઇટલી અથવા યુરોપ જઈ રહ્યાં હતા.
હેડસને જણાવ્યું કે, બોટનું બેલેન્સ ખરાબ થવાના કારણે આ ઘટના બની. તેઓએ કહ્યું કે, ભૂમધ્ય સાગરના રસ્તે યુરોપમાં ગેરકાયદેસર રીતે દાખલ થવાની કોશિશ કરનારાં મોટાંભાગના લોકો લીબિયા અથવા પાકિસ્તાનના હોય છે.
ગત મહિને ૬ જાન્યુઆરીએ એક નાવ ડૂબવાથી ૨૫ લોકોના મોત થયા હતા. નાવમાં ક્ષમતા કરતા ૧૫૦ લોકો સવાર હતા. તેમને ગેરકાયદેસર ઈટલીની સરહદમાં ઘુસાડવામાં આવી રહ્યાં હતા. ઈટલીના તટરક્ષક દળે ૮૫ લોકોને રેસ્કયૂ કરી બચાવી લીધા હતા.
જણાવી દઈએ કે આફ્રીકી દેશોથી ભૂમધ્ય સમુદ્ર પાર કરીને યૂરોપ જનારા શરણાર્થીઓનું લીબિયા કેન્દ્ર રહ્યું છે. યૂરોપીય સંઘ અને તૂર્કીની વચ્ચે એક સમજૂતી બાદ ગ્રીસ જવાનો રસ્તો બંધ કર્યા બાદ મોટી સંખ્યામાં પ્રવાસી હવે ભૂમધ્ય સમુદ્રના રસ્તે આવે છે.(૨૧.૬)