અસદુદ્દીન ઓવૈસી ત્રણ દિવસ ઉત્તરપ્રદેશની યાત્રાએ :અયોધ્યાથી પ્રવાસની શરૂઆત કરશે
7 સપ્ટેમ્બરે રુદૌલી નગરમાં વંચિત શોષિત સંમેલનને સંબોધિત કરશે:8મીએ સુલતાનપુરમાં કાર્યક્રમ : 9 મીએ બારાબંકી જશે.
ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પોતાની જમીનની શોધ શરૂ કરી દીધી છે. જેથી AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ત્રણ દિવસના પ્રવાસ પર ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છે.
આ વખતે તેઓ અયોધ્યાથી તેમના પ્રવાસની શરૂઆત કરશે, જ્યાં તેઓ 7 સપ્ટેમ્બરે રુદૌલી નગરમાં વંચિત શોષિત સંમેલનને સંબોધિત કરશે. અસદુદ્દીન ઓવૈસીનો 8 સપ્ટેમ્બરે સુલતાનપુરમાં કાર્યક્રમ છે. ત્યારબાદ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે 9મીએ બારાબંકી જશે.
જણાવી દઈએ કે AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી યુપીની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. તેઓ ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. જોકે એવી ચર્ચા છે કે ઓવૈસીનું આ ચૂંટણી ગંઠબંધનનો વિસ્તાર થઇ શકે છે. તેમનુ ગઠબંધન ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ સાથે હાથ મિલાવી શકે છે.
તાજેતરમાં જ અસદુદ્દીન ઓવૈસીએ ચંદ્રશેખર સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. ઓમપ્રકાશ રાજભરે પણ તે બેઠકમાં હાજરી આપી હતી. તેમની વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, શું સંહમતિ બની તે બધું સ્પષ્ટ સામે આવ્યું નહતું, પરંતુ ત્યારથી જુદા જુદા રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
ચંદ્રશેખરને બસપા પ્રમુખ માયાવતીએ નજર અંદાજ કર્યો છે, અખિલેશે પણ કોઈ રસ દાખવ્યો નથી, તેથી ભીમ આર્મીને પણ યુપીમાં કોઈના ટેકાની જરૂર છે. તેથી ચંદ્રશેખર અસદુદ્દીન ઓવૈસી એક સાથે આવે તો આશ્ચર્ય થશે નહીં.