Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજકોટમાં તા. ૨ ઓગસ્ટના રોજ યોજાનારા વિવિધ કાર્યક્રમો

સંવેદના દિન ઉજવણી અંતર્ગત સેવાસેતુનો રાજય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ તેમજ અનાથ બાળકોને સહાય મંજુરી પત્ર વિતરણ,વૃક્ષારોપણ, અનાથ બાળકો સાથે ભોજન, રાજકોટ પોલીસનો લોકાર્પણ કાર્યક્રમ, કેન્દ્રીય વિદ્યાલય ખાતે દિવ્યાંગ બાળકો માટે નિવાસી ગૃહનું ભૂમિ પૂજન, સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શન , પુજીત રૂપાણી ટ્રસ્ટનો કાર્યક્રમ, ભાજપા દ્વારા કીટ વિતરણ સહિત કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે:રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર, સામાજિક સંસ્થાઓ, મહાનગરપાલિકા , જિલ્લા ભાજપા, સમાજ સુરક્ષા વિભાગ, રાજકોટ પોલીસ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન

રાજકોટ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં તા.૧ ઓગસ્ટથી તા.૯ ઓગસ્ટ સુધી જન સેવા અને લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના વિકાસલક્ષી અને લોકસેવાલક્ષી કાર્યક્રમો યોજાવાના છે.

  રાજકોટમાં તા.૨ ઓગસ્ટના રોજ સંવેદના દિન નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. તા.ર ઓગસ્ટ મુખ્યમંત્રીનો જન્મદિવસ હોય રાજકોટ ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સેવા સેતુ નો રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પણ રાજકોટ ખાતે યોજાશે.
  આ તમામ કાર્યક્રમોમાં કોવીડ પ્રોટોકોલ અને માર્ગદર્શિકાનું પાલન સાથે વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર, સામાજિક સંસ્થાઓ, મહાનગરપાલિકા, રાજકોટ પોલીસ, જિલ્લા ભાજપા, પુજીત રૂપાણી ટ્રસ્ટ, સમાજ સુરક્ષા વિભાગ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન થશે. કુલ ૧૦ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. તા.૨ ઓગસ્ટના રોજ સવારે ૮-૩૦ કલાકે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની શુભેચ્છા મુલાકાત, ૯-૩૦ કલાકે  વાગુદડ ખાતે મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ, સવારે  ૧૦.૩૦ કલાકે કેન્દ્રીય વિદ્યાલય કાલાવડ રોડ ખાતે દિવ્યાંગ બાળકો માટે નિવાસી ગૃહ નું ભૂમિ પૂજન, સવારે ૧૧ કલાકે ધરમેન્દ્ર સિંહજી કોલેજ, યાગ્નિક રોડ રાજકોટ ખાતે સંવેદના દિનની ઉજવણી અંતર્ગત સેવા સેતુનો મુખ્ય કાર્યક્રમ કાર્યક્રમ યોજાશે.
  જેમાં અનાથ બાળકોને સહાય મંજુરી પત્ર એનાયત કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના આયોજન હેઠળ યોજાશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ બાળકો અને પાલક વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
 મુખ્યમંત્રી બપોર ૧૨:૩૦કલાકે અનાથ બાળકો સાથે જનકલ્યાણ હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે ભોજન લેશે. બપોરે બે કલાકે પુજીત રૃપાણી ટ્રસ્ટના સેવાકીય કાર્યો  અંતર્ગત કિલ્લોલ ભાવનગર રોડ ખાતે ,બપોરે ૩ કલાકે  રામનાથ પરા પોલીસ લાઈન ગ્રાઉન્ડ ખાતે રાજકોટ પોલીસ આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી  ઉપસ્થિત રહેશે .આ ઉપરાંત સાંજે  ૪ કલાકે ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ મંદિરના હિંડોળા દર્શન સહિતના કાર્યક્રમમાં  અને  સાંજે  પ કલાકે  ભાજપા ઓફિસ ખાતે બેઠકમાં સહભાગી થશે. સાંજે ૬ કલાકે ભાજપા દ્વારા કીટ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

(8:30 pm IST)