Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ : A1 ગ્રેડમાં માત્ર ૬૯૧ છાત્રો

કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે માસ પ્રમોશન આપતા ઇતિહાસમાં પ્રથમવાર : સમગ્ર ગુજરાતમાં રાજકોટ જિલ્લાના ૨૩૧ છાત્રોએ એ-ગ્રેડ મેળવીને મોખરે રહ્યા : A2 ગ્રેડમાં ૯૪૫૫, C1 ગ્રેડમાં ૧ લાખ ૨૯ હજાર છાત્રો : શાળાઓએ માર્કશીટની પ્રિન્ટ આપી

રાજકોટ તા. ૩૧ : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે નિયમિત છાત્રોની ધો. ૧૦ - ૧૨ની પરીક્ષા લેવામાં આવી ન હતી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. ઇતિહાસમાં પ્રથમ વખત ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું આજે જાહેર થયેલ પરિણામ નિયમિત વિદ્યાર્થીઓનું ૧૦૦% આવ્યું છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ ૪,૦૦,૧૨૭ વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડ મેળવનાર માત્ર ૬૯૧ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. તેમાય સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લો સૌથી મોખરે રહ્યો છે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં રાજકોટ જિલ્લાના ૨૩૧ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

આજે ગુજરાતમાં ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ જાહેર થયું છે. કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાંથી ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. આજે સવારે ૮ કલાકથી બોર્ડની સાઇટ result.gseb.org પર મૂકવામાં આવ્યું છે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેકસ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી ડાઉનલોડ કરી જોયું હતું. પ્રિન્ટ કાઢીને છાત્રોને અપાયું હતું. શાળાઓ વિદ્યાર્થીઓને તેમના પરિણામની પ્રિન્ટ કરેલી કોપી કોરોના ગાઇડલાઇન પ્રમાણે તબક્કાવાર બોલાવીને આપશે.  બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં A1 ગ્રેડમાં ૬૯૧, A2 ગ્રેડમાં ૯૪૫૫, B1 ગ્રેડમાં ૩૫,૨૮૮, B2 ગ્રેડમાં ૮૨૦૧૦, C1 ગ્રેડમાં ૧,૨૯,૭૮૧, C2 ગ્રેડમાં ૧,૦૮,૨૯૯, D2 ગ્રેડમાં ૨૮,૬૯૦, E1 ગ્રેડમાં ૫૮૮૫ અને E2 ગ્રેડમાં ૨૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

પરિણામ બનાવવા માટે ધોરણ ૧૦ના પરિણામના ૫૦%, ૧૧માના પરિણામના ૨૫% અને ધોરણ ૧૨માં એકમ કસોટીના ૨૫% માર્ક લેવાયા છે  ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨ લાખ ૧૦ હજાર ૩૭૫ વિદ્યાર્થીઓ અને ૧ લાખ ૮૯ હજાર ૭૫૨ વિદ્યાર્થીનીઓ નોંધાઈ છે. ત્યારે માસ પ્રમોશનને કારણે કુલ ૪ લાખ ૧૨૭ રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છેધો.૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના વર્ષ ૨૦૨૧ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરી હતી. જે અનુસાર જાહેર કરેલ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.

(11:45 am IST)