Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પેશાવરમાં ૪૦૦ પોલીસકર્મીના સુરક્ષાઘેરામાં ઘૂસીને આત્‍મઘાતીએ કર્યો હુમલો : ૬૧ના મોત : ૧૫૦થી વધુ ઘાયલ

હુમલામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્‍યા સતત વધી રહી છે : ઇજાગ્રસ્‍તોમાં મોટાભાગના પોલીસકર્મીઓ અને સુરક્ષા અધિકારીઓ

કરાંચી તા. ૩૧ : પાકિસ્‍તાનના અશાંત વિસ્‍તાર એવા ખૈબર પખ્‍તુનખ્‍વા પ્રાંતના પેશાવરના ઉચ્‍ચ સુરક્ષાવાળા વિસ્‍તારની એક મસ્‍જિદમાં સોમવારે બપોરે નમાજ દરમિયાન તાલિબાન આત્‍મઘાતી બોમ્‍બરે પોતાને વિસ્‍ફોટથી ઉડાવી દેતાં ઓછામાં ઓછા ૬૧ લોકો માર્યા ગયા છે અને ૧૫૦ થી વધુ ઘાયલ થયા છે. ઘાયલની સંખ્‍યા વધી રહી હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, સોમવારે બપોરે લગભગ ૧.૪૦ વાગ્‍યે, પોલીસ લાઇન્‍સ વિસ્‍તારની મસ્‍જિદમાં એક બપોરની નમાજ અદા કરી રહ્યા હતા ત્‍યારે આગલી હરોળમાં બેઠેલા એક આત્‍મઘાતી બોમ્‍બરે તેના શરીર સાથે બાંધેલા વિસ્‍ફોટકોનો વિસ્‍ફોટ કર્યો હતો. પોલીસના જણાવ્‍યા અનુસાર વિસ્‍ફોટ બાદ મસ્‍જિદની છત નમાજ પઢી રહેલા નમાજી પર પડી હતી. તેમના કહેવા પ્રમાણે, નમાજ અદા કરનારાઓમાં પોલીસ, સેના અને બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડના જવાનો પણ હતા.

લેડી રીડિંગ હોસ્‍પિટલના અધિકારીઓએ જણાવ્‍યું કે, અત્‍યાર સુધીમાં ૬૧ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. જયારે ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મીઓ અને સુરક્ષા અધિકારીઓ છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્‍તાન (TTP) એ આ આત્‍મધાતી હુમલાની જવાબદારી સ્‍વીકારી છે. તેમણે કહ્યું કે આત્‍મઘાતી હુમલો TTP કમાન્‍ડર ઉમર ખાલિદ ખુરસાનીના મોતનો બદલો છે. જે ગયા વર્ષે ઓગસ્‍ટમાં અફઘાનિસ્‍તાનમાં માર્યો ગયો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે વિસ્‍ફોટને કારણે મસ્‍જિદનો એક ભાગ પડી ગયો હતો અને તેના કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હતા. બચાવ કામગીરીના પ્રભારી બિલાલ ફૈઝીએ જણાવ્‍યું હતું કે, અત્‍યારે અમારી પ્રાથમિકતા બચાવ કામગીરી પર છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની અમારી પ્રથમ પ્રાથમિકતા છે. પોલીસના જણાવ્‍યા અનુસાર બોમ્‍બર પોલીસ લાઈન્‍સની અંદર ચાર સ્‍તરીય સુરક્ષા મસ્‍જિદમાં ઘુસ્‍યો હતો.

પ્રાંતીય પોલીસ વડા મુઅઝ્‍ઝમ જાહ અન્‍સારીએ જણાવ્‍યું હતું કે, પોલીસ વિસ્‍ફોટની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે બોમ્‍બર ઉચ્‍ચ સુરક્ષાવાળી મસ્‍જિદમાં કેવી રીતે ઘુસ્‍યો. તેણે આશંકા વ્‍યક્‍ત કરી હતી કે આત્‍મઘાતી બ્‍લાસ્‍ટ કરતા પહેલા પોલીસ લાઈન્‍સમાં રહેતો હોઈ શકે છે, કારણ કે પોલીસ લાઈન્‍સની અંદર ફેમિલી ક્‍વાર્ટર્સ છે. પેશાવર પોલીસનું મુખ્‍યાલય, આતંકવાદ વિરોધી વિભાગ, ફ્રન્‍ટિયર રિઝર્વ પોલીસ, એલિટ ફોર્સ અને કોમ્‍યુનિકેશન વિભાગ પણ આ વિસ્‍ફોટ સ્‍થળની આસપાસમાં છે.

વડા પ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા પેશાવર પહોંચ્‍યા હતા. વડાપ્રધાને આર્મી ચીફ સાથે અહીંની લેડી રીડિંગ હોસ્‍પિટલની પણ મુલાકાત લીધી હતી અને ઘાયલોના ખબર અંતર પૂછ્‍યા હતા. આ દરમિયાન ગૃહમંત્રી રાણા સનૌતુલ્લા અને અન્‍ય અધિકારીઓ પણ ઉપસ્‍થિત હતા. વડા પ્રધાન શાહબાઝ શરીફે એક ઈમરજન્‍સી બેઠક બોલાવી હતી. જેમાં આ આત્‍મધાતી હુમલા અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવામાં આવ્‍યો હતો.

પોલીસ મહાનિરીક્ષક અન્‍સારીએ કહ્યું કે, તેમને ખબર નથી કે આત્‍મધાતી ક્‍યાંથી આવ્‍યો અને તે પોલીસ લાઈન્‍સમાં કેવી રીતે આવ્‍યો. પેશાવરના પોલીસ અધિક્ષક (તપાસ) શહઝાદ કૌકબે મીડિયાને જણાવ્‍યું કે વિસ્‍ફોટ ત્‍યારે થયો જયારે તેઓ નમાજ પઢવા માટે મસ્‍જિદમાં પ્રવેશ્‍યા હતા. પરંતુ સદનસીબે તેઓ બચી ગયો. તેમની ઓફિસ મસ્‍જિદ પાસે જ છે.

(11:25 am IST)