Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

દેશના આગામી સીડીએસ કોણ ? જનરલ મનોજ મુકુંદ નરવણેનું નામ પર સર્વસંમતિ સધાય તેવી શકયતા

એરફોર્સ ચીફ માર્શલ વીઆર ચૌધરી અને નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારનું નામ પણ આ રેસમાં સામેલ

નવી દિલ્હી : દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનુંહેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ત્યારથી આ મહત્વની જગ્યા ખાલી પડી છે. ચાર મહિનાથી વધુ સમય વીતી જવા છતાં કેન્દ્ર સરકારે હજુ સુધી જાહેરાત કરી નથી કે દેશના આગામી સીડીએસ કોણ હશે.જનરલ બિપિન રાવતના અવસાન બાદથી તેમના અનુગામી માટે સંભવિત નામોની અટકળો ચાલી રહી છે. જોકે દેશના આગામી સીડીએસનું નામ અત્યારે નક્કી નથી.

વર્ષ 2019 માં, જ્યારે દેશમાં સેનાની ત્રણેય વિંગના વડા તરીકે CDSની કલ્પના કરવામાં આવી હતી અને નવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી, ત્યારે પરિસ્થિતિ સમાન હતી. તે પછી વ્યાપકપણે અપેક્ષા રાખવામાં આવી હતી અને અટકળો લગાવવામાં આવી રહી હતી કે તત્કાલીન આર્મી ચીફ જનરલ બિપિન રાવત દેશના પ્રથમ સીડીએસ બનશે. પરંતુ સરકાર દ્વારા તેમની નિવૃત્તિના એક દિવસ પહેલા જ આ જાહેરાત કરવામાં આવી હતી.

આ વખતે પણ લાંબા સમયથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જનરલ મનોજ મુકુંદ નરવણે આ પદ માટે મુખ્ય અને સૌથી યોગ્ય દાવેદાર છે. શનિવાર, 30 એપ્રિલના રોજ, જ્યારે તેઓ આર્મી સ્ટાફના વડા પદ પરથી નિવૃત્ત થયા છે અને સરકારે CDS પદ માટે તેમના નામની જાહેરાત કરી નથી.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ સપ્તાહે સોમવારે મોડી રાત્રે ડિફેન્સ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા ટ્વિટ બાદ આ અંગે ઉત્સુકતા વધી ગઈ હતી. આમાં, જનરલ નરવણેને પેન્શન પેમેન્ટ ઓર્ડર મળ્યાની તસવીર ટ્વીટ કરવામાં આવી હતી. સૈન્ય અધિકારીઓના કોરિડોરમાં તેમના સીડીએસ બનવા કે નહીં તે અંગે જુદી જુદી અટકળો લગાવવામાં આવી રહી છે. અધિકારીઓનો એક વર્ગ માને છે કે લોકો તેમાં વધારે રસ દાખવી રહ્યા છે. જનરલ મનોજ મુકુંદ નરવણેની નિવૃત્તિ બાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે.

દેશના નવા સીડીએસ માટે તો સૌથી વધુ સંભાવના તો પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેની છે, પરંતુ કેટલાક અન્ય નામો પણ ચર્ચામાં છે, જેઓ આ રેસમાં સામેલ છે. એવો અંદાજ છે કે આગામી સીડીએસ તરીકે સરકાર સેનાની ત્રણેય વિંગ એટલે કે ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના પ્રમુખોના નામ પર ચર્ચા કરી શકે છે. આથી જનરલ નરવણે સિવાય એરફોર્સ ચીફ માર્શલ વીઆર ચૌધરી અને નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારનું નામ પણ આ રેસમાં સામેલ છે. જોકે, મોટાભાગે જનરલ એમએમ નરવણેના નામ પર સર્વસંમતિ સધાય તેમ જણાય છે.

 

જનરલ નરવણે આગામી સીડીએસ બનવાની રેસમાં સૌથી આગળ છે. ત્રણ સેના પ્રમુખોમાં તેઓ સૌથી વરિષ્ઠ છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં લેફ્ટનન્ટ કર્નલ મનોજ કે ચન્નને પણ એક લેખમાં જનરલ નરવણેના નામની શક્યતા વ્યક્ત કરી છે. સમજી શકાય છે કે જનરલ નરવણેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પૂર્વી લદ્દાખમાં તેણે જે રીતે સ્ટેન્ડઓફને હેન્ડલ કર્યું તે જોતાં, ટોચના પદ પર તેમની નિમણૂકની શક્યતા વધુ છે.

ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે 30 સપ્ટેમ્બર અને 30 નવેમ્બરના રોજ પદ સંભાળ્યું હતું. જો કે, એ પણ હકીકત છે કે દેશમાં અત્યાર સુધી માત્ર એક જ CDS છે અને તેથી ઉત્તરાધિકારીનો ન તો કોઈ ઈતિહાસ છે કે ન તો કોઈ નિશ્ચિત પ્રક્રિયા છે. જો કે, એવું માનવામાં આવે છે કે નવા સીડીએસના નામની જાહેરાત આગામી એકથી બે અઠવાડિયામાં કરવામાં આવશે.

બિપિન રાવત અત્યાર સુધી દેશમાં એકમાત્ર સીડીએસ જનરલ છે. તેમના પહેલા ત્રણેય દળોના વડાનું કોઈ પદ નહોતું. આ પોસ્ટ સૌપ્રથમ કારગીલ સમીક્ષા સમિતિ દ્વારા સૂચવવામાં આવી હતી. આ સમિતિની રચના અટલ બિહારી વાજપેયીની સરકારમાં કરવામાં આવી હતી. વર્ષ 1999 જ્યારે કારગિલ યુદ્ધની જીતના 3 દિવસ બાદ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે તાલમેલનો અભાવ દર્શાવ્યો હતો.

સમિતિએ સેનાની ત્રણેય વિંગમાં સંકલનના અભાવને દૂર કરવા પણ સૂચન કર્યું હતું. જો કે, પીએમ નરેન્દ્ર મોદીની સરકારમાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ 24 ડિસેમ્બર 2019ના રોજ આ પદની ઔપચારિક જાહેરાત કરી હતી. આ માટે જનરલ બિપિન રાવતનું નામ સૂચવવામાં આવ્યું હતું અને પછી તેમને આ પદ આપવામાં આવ્યું હતું.

(11:39 pm IST)